૫ રાજ્યોની ચૂંટણી પૂર્વે વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી પહેલી પસંદ

નવી દિલ્હી, રાજકારણમાં લોકપ્રિયતા અને કામ બન્ને મહત્વના હોય છે, આવામાં વિરોધ પક્ષ દ્વારા સત્તા પક્ષ પર વારંવાર પ્રહારો કરીને પોતાની જીત નિશ્ચિત કરવાના પ્રયાસ કરવામાં આવતા હોય છે. પરંતુ ભારતમાં આગામી વર્ષે પાંચ રાજ્યો પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને થયેલા એબીપી-સીવોટર સર્વેમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને જ શ્રેષ્ઠ ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે.
સર્વે પ્રમાણે વડાપ્રધાન મોદીએ પોતાની લોકપ્રિયતાનો ગ્રાફ જાળવી રાખ્યો છે, અને રાહુલ ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓને ઘણાં પાછળ છોડી દીધા છે. આખા ભારતની વાત કરીએ તો ૪૧% ઉત્તરદાતાઓએ મોદીને પસંદ કર્યા છે, જ્યારે ૧૧.૩% લોકોએ રાહુલ ગાંધીને સર્વશ્રેષ્ઠ વડાપ્રધાનના રૂપમાં પસંદ કર્યા છે.
અન્ય લોકોમાં ૭.૫% સાથે કેજરીવાલને પોતાના વડાપ્રધાન ઉમેદવાર પસંદ કર્યા છે, આ પછી મનમોહન સિંહ અને યોગી આદિત્યનાથને ૫.૨% અને ૨.૮% પસંદ કર્યા છે.
સર્વેક્ષણમાં એ પણ જાણવા મળ્યું છે કે ગોવામાં ૪૮.૫% મતદાતાઓ મોદીને પસંદ કરે છે. આ પછી ઉત્તરાખંડમાં ૪૬.૫%, મણિપુરમાં ૪૧.૫%, ઉત્તરપ્રદેશમાં ૪૦.૭% અને પંજાબમાં ૧૨.૪% મતદાતાઓ છે કે જેઓ મોદીને વડાપ્રધાન પદ પર જાેવા માગે છે. ગોવામાં ૨૨.૨% મતદાતાઓને લાગે છે કે કેજરીવાલ સૌથી સારા પીએમ ઉમેદવાર છે, જ્યારે ૨૦.૭% લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા છે. મનમોહનસિંહ અને આદિત્યનાથને ૫.૨% તથા ૨.૮% લોકોનું સમર્થન મળ્યું છે.
આ જ રીતે મણિપુરમાં ૪૧.૫% મતદાતાઓએ મોદીને શ્રેષ્ઠ વડાપ્રધાન ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. તેમણે કેજરીવાલને ૧૪.૧% જ્યારે રાહુલ ગાંધીને માત્ર ૭.૯% મતદાતાઓએ પસંદ કર્યા છે. અહીં મનમોહનસિંહને ૬.૧% અને યોગી આદિત્યનાથ પર ૦.૯% લોકોએ પસંદગી ઉતારી છે.
પંજાબમાં ૨૩.૪% કેજરીવાલને શ્રેષ્ઠ વડાપ્રધાન ઉમેદવાર તરીકે પસંદ કરે છે. આ પછી મનમોહનસિંહ ૧૫.૭%, મોદી ૧૨.૪% અને રાહુલ ગાંધી ૪.૯% સાથે પસંદ કરાયા છે. ઉત્તરપ્રદેશમાં મોદી ફરી સર્વશ્રેષ્ઠ વડાપ્રધાન ઉમેદવાર તરીકે લોકપ્રિય બન્યા છે, ૪૦.૭% મતદાતાઓએ તેમને પસંદ કર્યા છે. આ પછી રાહુલ ગાંધીને ૮%, કેજરીવાલને ૫.૧%, મનમોહન સિંહને ૪.૬% અને યોગી આદિત્યનાથને ૪.૨% સમર્થન મળ્યું છે.
ઉત્તરાખંડમાં પણ વડાપ્રધાન મોદી ૪૬.૫% સમર્થન સાથે આગળ છે. આ પછી કેજરીવાલ ૧૪.૯%, રાહુલ ગાંધી ૧૦.૪%, યોગી આદિત્યનાથ ૭.૫% અને મનમોહન સિંહ ૫.૪% પર રહ્યા છે. આ સર્વેક્ષણ ૬૯૦ વિધાનસભા બેઠકોને કવર કરવામાં આવી છે, જેમાં ૫ રાજ્યોના ૮૧,૦૦૬ ઉત્તરદાતાના મંતવ્ય લેવામાં આવ્યા હતા.SSS