Western Times News

Gujarati News

૮મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે

Files Photo

સોશિયલ ડિસ્ટન્સ સહિતની SOPના પાલન સાથે વર્ગખંડો શરૂ થશે –હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહિ શકે

 સોશિયલ ડિસ્ટન્સ જાળવવું – હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ સહિતની કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની SOPનું પાલન કરવાનું રહેશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે.

શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે.

શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપી હતી.   તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરવામાં આવેલા છે.

હવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્માએ એમ પણ કહ્યું કે ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે.

તદઅનુસાર, આવી સમરસ હોસ્ટેલ પૂન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે.

આ SOPમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય. એટલું જ નહિ, કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.