ગુજરાતમાં 1.36 લાખ આયુષ્યમાન કાર્ડ ધારકો શંકાસ્પદઃ તપાસ કરાશે
આયુષ્યમાન કાર્ડના શંકાસ્પદ લાભાર્થી, ફ્રોડ મામલે ગુજરાત દેશમાં ટોચ ઉપર -ગુજરાતમાં ૧.૩૬ લાખ કાર્ડમાં ફ્રોડ, ૬,૬૯૦ કાર્ડ તપાસના દાયરામાં
(એજન્સી) અમદાવાદ, ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર આપતી પીએમજેએવાય-આયુષ્યમાન મા યોજનામાં ગુજરાતમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાયો છે. દેશમાં સૌથી વધુ ગુજરાતમાં ૨.૪૭ લાખ આયુ,્યમાન કે મા કાર્ડ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જે પૈકી ૧.૩૬ લાખ કાર્ડમાં ફ્રોડ કે છેતરપિંડી થયાનું ખૂલ્યું છે.
આ ઉપરાંત ૭૭ હજારથી વધુ કાર્ડમાં નિર્ણય લઈ શકાયો નથી. ૧૯ હજારથી વધુ કાર્ડમાં કોઈ ઠગાઈ ન હોવાનું ખૂલ્યું છે જ્યારે ૮૨૦૦થી વધુ કાર્ડના કિસ્સા પડતર છે તેમજ ૬૬૯૦ કાર્ડ તપાસ અંતર્ગત છે. પીએમજેએવાયમાં કોઈ શંકાસ્પદ લાભાર્થી હોય તો તેવા કિસ્સામાં સિસ્ટમમાં ટ્રીગર એલર્ટ વાગે છે.
મોબાઈલ નંબરમાં ગરબડ હોય, લાભાર્થીને ચહેરો મળતો આવતો ન હોય, એ ક જ પરિવારમાં એક જ લાભાર્થીના એક કરતા વધુ કાર્ડ બન્યા હોય, ખોટા લાભાર્થી હોય, અસ્પષ્ટ બાબત હોય, વધુ કાર્ડ બનાવવા માટે એક જ દસ્તાવેજનો ઉપયોગ કરવા જેવી બાબતો સિસ્ટમમાં ધ્યાને આવે કે તૂર્ત જ ટ્રીગર એલર્ટ મળતું હોય છે.
આમ શંકાસ્પદ કાર્ડના ફ્રોડ વધુ કિસ્સામાં ટ્રીગર્સ એલર્ટી જારી કરાયું હતું. શંકાસ્પદ લાભાર્થીની તપાસ માટે ખાસ ટીમને કામ સોંપવામાં આવ્યું હતું. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલે આ બાબત ઉઘાડી પાડી છે. શંકાસ્પદ કાર્ડના કિસ્સામાં દેશમાં ફ્રોડના ૪૦.૮૧ ટકા કેસ છે.
દેશની આ સરેરાશ સામે ગુજરાતમાં ૫૫ ટકા જેટલા કિસ્સામાં ફ્રોડ હોવાનું ખૂલ્યું છે. રાજ્યોની તપાસ પછી આ બાબત ઉજાગર થઇ છે. મહત્ત્વનું છે કે, ગુજરાતમાં ખાનગી હોસ્પિટલો ખોટી રીતે નાણાં પડાવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. દર્દીના મોત બાદ મૃતદેહની સારવાર કરીને પણ નાણાં પડાવાયા છે.
હોસ્પિટલોમાં બેડની કેપેસિટી કરતાં મોટી સંખ્યામાં દર્દીઓ બતાવીને નાણાં પડાવાઈ રહ્યા છે. એક રીતે સરકારની આ યોજનાને જાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનાવાઈ રહ્યું છે.