રાજયની 157 નગરપાલિકાઓને રોડ રસ્તા માટે 100 કરોડની ફાળવણી
ગુજરાતની જનતાના હિત માટે સરકારનો મોટો ર્નિણય
(એજન્સી)ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોની જનસુવિધા સુખાકારી વૃદ્ધિની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. મુખ્યમંત્રીએ ચોમાસામાં વરસાદને કારણે નગરોના માર્ગો – રસ્તાઓને થયેલા નુકસાનની મરામત માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૧૦૦ કરોડ રૂપિયા ૧૫૭ નગર પાલિકાઓને ફાળવવાની મંજૂરી આપી છે.
૧૦૦ કરોડ રૂપિયાની આ રકમમાંથી ‘અ’ વર્ગની ૨૨ નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા ૧ કરોડ પ્રમાણે ૨૨ કરોડ રૂપિયા તેમજ ‘બ’ વર્ગની ૩૦ નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા ૮૦ લાખ પ્રમાણે કુલ ૨૪ કરોડ રૂપિયા, ‘ક’ વર્ગની ૬૦ નગર પાલિકાઓને પ્રત્યેકને રૂપિયા ૬૦ લાખ મુજબ કુલ ૩૬ કરોડ રૂપિયા અને ‘ડ’ વર્ગની ૪૫ નગર પાલિકાઓને નગર પાલિકા દીઠ રૂપિયા ૪૦ લાખ પ્રમાણે કુલ ૧૮ કરોડ રૂપિયા આવા રોડ રીસરફેસિંગ કામો માટે ફાળવવામાં આવશે.
નગર પાલિકાઓને રસ્તાના મરામત – રીસરફેસિંગ કામો માટે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફતે શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવાની દરખાસ્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ દરખાસ્તના સંદર્ભમાં ૧૦૦ કરોડ રૂપિયા ફાળવીને લોક સુખાકારી કામો માટેની આગવી સંવેદના દર્શાવી છે.