પાકિસ્તાનના 108 હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાનના હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી
ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ૧૨ મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા અમદાવાદના કુલ ૧૦૮ લોકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવશે.
આ અવસરે અમદાવાદના કલેકટર શ્રી સુશ્રી પ્રવીણા ડી.કે, અમદાવાદના સર્વે ધારાસભ્યશ્રીઓ, સિંધ માયનોરીટી માયગ્રન્ટ્સ એસોસીએશનના પ્રમુખ શ્રી અને સભ્યશ્રીઓ તેમજ પ્રમાણપત્ર સ્વીકૃતિ માટે આવનાર ૧૦૮ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીઓને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લધુમતી કોમના (હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી) લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવાની સત્તા મળેલી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૧૪૯ પાકિસ્તાની હિંદુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા છે.