યુપી-બિહારમાં વીજળીના કડાકા સાથે વરસાદથી બે દિવસમાં ૧૧૦નાં મોત

નવી દિલ્હી, દેશમાં મોસમની બેવડી માર પડી રહી છે. એક તરફ તીવ્ર ગરમી અને બીજી તરફ આંધી-તોફાન અને કમોસમી વરસાદનો પ્રકોપ છે. યુપી-બિહારમાં બે દિવસમાં આંધી-તોફાનને લીધે ૧૧૦ લોકોના મોત થયા છે. એમાંથી બિહારમાં ૮૧ લોકોના અને યુપીમાં ૨૯ લોકોના મોત થયા છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીર, ઉતરાખંડ, હિમાચલપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, કેરળ, તમિલનાડુ, આસામ, મેઘાલયમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ વીજળી પડવાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારે વરસાદ પણ પડી શકે છે. દેશભરમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત છે. મોટાભાગના રાજ્યોમાં ગુરુવારે દિવસે તાપમાનનો પારો ૩૫ ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહ્યો છે. રાજસ્થાનના બાડમેરમાં સૌથી વધુ ૪૪.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાનનો પારો પહોંચી ગયો છે.
આગામી દિવસોમાં રાજસ્થાન-ગુજરાતમાં ગરમીનો પારો ૪૦-૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે. દિલ્હીમાં પણ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ સુધી જવાનું અનુમાન છે.
ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, રાજસ્થાનના જેસલમેર-બાડમેર, ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ, પશ્ચિમ યુપી, હરિયાણા, પંજાબ, દિલ્હી-એનસીઆરમાં લૂ ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ૩૦ જિલ્લામાં લૂનું એલર્ટ છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં લૂનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.SS1MS