દેશમાં વિવિધ માર્ગ અકસ્માતમાં બે બાળકો સહિત ૧૪ લોકોના મોત
વાયનાડ, દેશમાં રવિવાર કાળમુખો બનતાં માર્ગ અકસ્માતની વિવિધ ઘટનામાં બે બાળકો સહિત ૧૪ લોકોના મોત થયા હતા. સીકરમાં સાત તો મધ્યપ્રદેશના બાગેશ્વરમાં ચાર યુવકો, કેરળમાં એક જ પરિવારના ત્રણ જણના મોત થયાં છે.
રાજસ્થાનના સીકર જિલ્લાના ફતેહપુર શેખાવતીમાં આશીર્વાદ ચારરસ્તા પાસે સ્થિત પુલ પર રવિવારે બપોરે કાર અને ટ્રક વચ્ચેની અથડામણમાં કારમાં મુસાફરી કરી રહેલા સાત લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. કારમાં બે બાળકો અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકો સવાર હતા.
મળતી માહિતી મુજબ બ્રિજ પર કાર તેની આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી ગઈ હતી અને તે એટલી તીવ્ર હતી કે પળવારમાં જ કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી અને લોકોને બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો.
કારમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી હતા. તેઓ સાલાસર બાલાજી મંદિરથી હિસાર જઈ રહ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
મધ્યપ્રદેશના બાગેશ્વરમાં પૂજા માટે પાણી લેવા જતાં સર્જાયેલા અકસ્માતે ચાર યુવાનોના જીવ હોમાયા હતા. નવરાત્રીના અવસર પર ગામમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને આ યુવકો રવિવારે વહેલી સવારે ગંગાજળ લેવા બાગેશ્વર આવી રહ્યા હતા.
ચિડંગ ગડેરી નજીક કારને અકસ્માત નડતાં કાર રસ્તા પરથી ઉતરીને બાજુના ખાડામાં ફસડાઈ પડી હતી અને ચારેય યુવકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતા.
અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢ્યા હતા. કેરળના વાયનાડના વિથિરીમાં બસ અને કાર વચ્ચેની અથડામણમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.SS1MS