Western Times News

Gujarati News

દશેરાના દિવસે ગાડીઓ દોડીઃ 2100 કરોડની ગાડીઓ ગુજરાતમાં વેચાઈ

૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારનું વેચાણ થયું છે : બેઝિક ગાડી સામે લક્‍ઝુરીયસ કારનું વેચાણ વધ્‍યું 

અમદાવાદ, નવરાત્રિની શરૂઆતથી જ ગાડી અને ટુ-વ્હીલરના બજારમાં તેજી આવી ગઇ છે. નવરાત્રિ ઓટોમોબાઇલ સેક્‍ટરને ફળી છે. નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં કુલ ૩ હજાર કરોડના વાહનો વેચાયા છે. જેમાં ૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારનું વેચાણ થયું છે.

નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં થયેલા બુકિંગ અંગે માહિતી આપતાં ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિયેશન (ફાડા)ના ગુજરાતના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્‍યું હતું કે ગુજરાતમાં નવરાત્રિ (દશેરાએ ડિલવરી સહિત)માં ટુ વ્‍હીલરના ૮૫થી ૯૦ હજાર ટુ વ્‍હીલરનું વેચાણ થયું.

જેમાં માત્ર અમદાવાદમાં જ ૧૨થી ૧૩ હજાર ટુ વ્‍હિલર વેચાયા છે. જ્‍યારે સમગ્ર ગુજરાતમાં ૨૦થી ૨૧ હજાર કારના વેચાણ થયા છે. માત્ર અમદાવાદમાં જ ૪૫૦૦-૫૦૦૦થી કારના વેચાણ થયા છે. જેમાં બેઝિક કારથી લઇને હાઇએન્‍ડ કારનો સમાવેશ થાય છે.

આમ ૧૦ દિવસ દરમિયાન ૯૦૦ કરોડના ટુ વ્‍હીલર અને ૨૧૦૦ કરોડની કારના વેચાણ થયા છે. જે ગત વર્ષની સરખામણીમાં ઘણું સારુ બુકિંગ છે. આંકડાકીય માહિતી મુજબ ગત વર્ષ કરતાં ટુ વ્‍હીલરના વેચાણમાં ૮થી ૧૦ ટકાનો વધારો છે. કારના વેચાણમાં ૬થી ૮ ટકાના વધારો જોવા મળી રહયો છે. છેલ્લા બે ત્રણ વર્ષમાં યુવાનોમાં મોંઘી બાઇક ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેને પગલે એક કાર  કરતાં પણ મોંઘી બાઇક લઇને યુવાનો શહેરમાં ફરતા નજરે પડી રહ્યા છે.

ગુજરાતમાં ઇન્‍ડસ્‍ટ્રી ધમધમી રહી છે માટે માલ-સામાનના વહન માટે ભારે વાહનોની પણ ઘણી જરૂરીયાત રહેતી હોય છે. કોરોના બાદ ગુજરાત સહિત દેશભરમાં કારનું વેચાણ વધ્‍યું છે. એક તરફ લોકો બજેટમાં કારની ખરીદી કરવા માટે સેકન્‍ડ હેન્‍ડ કારની ખરીદી કરી રહ્યા છે. તેથી આ બજારમાં ભારે તેજી જોવા મળી રહી છે.

બીજી તરફ હવે જે લોકો નવી કાર ખરીદી રહ્યા છે તેઓ બેઝિક કારને બદલી લક્‍ઝુરીયસ કાર ખરીદી રહ્યા છે. જેને લઇને અમદાવાદ સહિત ગુજરાતભરમાં લકઝુરીયસ કારનું વેચાણ વધી રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.