370 હટાવ્યા બાદ વિકાસનો નવો યુગ શરૂ થયો, હવે કોઈએ ડરવાની જરૂર નથીઃ અમિત શાહ
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પ્રવાસના બીજા દિવસે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુમાં રેલીમાં સંબોધન કર્યું હતું. શાહે કહ્યું કે આર્ટીકલ 370 હટાવ્યા બાદ પરદેશમાં વિકાસની નવી યાત્રા શરૂ થઈ છે. હવે અહીં કોઈને પણ ડરવાની જરૂર નથી.
હવે જમ્મુમાં લોકોની સાથે ભેદભાવ નહીં થાય. હવામાન ખરાબ હોવાને કારણે શાહની રેલીનું સ્થળ બદલવામાં આવ્યું હતું. ભગવતી નગરના સ્થાને તેમની રેલી જમ્મુ યુનિવર્સિટીના જનરલ જોરાવર સિંહ ઓડિટોરિયમ ખાતે યોજાઇ હતી.
તેમણે કહ્યું કે કેટલાક લોકો સુરક્ષાને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે. અમે એવી સ્થિતિ બનાવવા માંગીએ છીએ કે એકપણ વ્યક્તિએ જીવ ન ગુમાવવો પડે. આઝાદી બાદ પ્રથમ વખત જમ્મુ કાશ્મીરમાં પર્યટન માટે નિર્માણ કાર્ય શરૂ થયું છે. જમ્મુમાં બે વર્ષની અંદર મેટ્રો સેવા શરૂ થઈ જશે. ગઇકાલે હેલિકોપ્ટર પોલિસીની જાહેરાત કરાઇ હતી. હવે જમ્મુના દરેક જિલ્લામાં હેલિપેડ બનાવવામાં આવશે.
શાહે મોદી સરકારની યોજનાઓનો ઉલ્લેખ કરતાં જમ્મુ કાશ્મીરના 7 હજાર લોકોને નોકરીનો નિમણૂંક પત્ર આપવાની જાહેરાત કરી હતી. જ્યારે પરદેશમાં 12 હજાર કરોડ રૂપિયાના રોકાણ આવવાની જાણકારી આપી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરમાં 7 નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની પણ વાત કરી હતી. જ્યારે, ઉજ્જવલા યોજના સહિત મોદી સરકારના ડેવલપમેન્ટ પ્લાનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શાહે વધુમાં કહ્યું હતું કે હું અહી આવ્યો છું તો ઘણા બધા કાર્યક્રમોનું ઉદ્દઘાટન થયું છે. જમ્મુ-કાશ્મીરમાં 7 નવી મેડિકલ કોલેજની સ્થાપના થઈ ચૂકી છે. આજે IITના એક કેમ્પસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. મે આજ સુધી આટલું આધુનિક કેમ્પસ જોયું નથી. સેટેલાઈટ કેમ્પસ શરૂ કરીને વધુમાં વધુ જમ્મુ-કાશ્મીરના બાળકોને IITમાં એડમિશન અપાવવાના પ્રયાસો કરવામાં આવશે.