ભરૂચ અને દહેજના ૪૦૦ જેટલા આગેવાનો-કાર્યકરો ભાજપમાં જાેડાયા
કેસરિયો ધારણ કરતા જીલ્લા ભાજપે ભરૂચ કોંગ્રેસ મુક્ત થયું હોવાનું દ્રશ્ય દેખાયું હોવાનું કહી વિધાનસભા ચૂંટણીમાં જીલ્લાની પાંચેય બેઠકો ભાજપ જીતશેનો મત વ્યક્ત કર્યો હતો.
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ,ઉપપ્રમુખ,આગેવાનો સહિત ૪૦૦ થી વધુ કાર્યકરોએ વિધિવત ભાજપમાં જાેડાય કેસરિયો ધારણ કરતા જીલ્લા ભાજપે ભરૂચ કોંગ્રેસ મુક્ત થયું હોવાનું દ્રશ્ય દેખાયું હોવાનું કહી વિધાનસભા ચૂંટણીમાં જીલ્લાની પાંચેય બેઠકો ભાજપ જીતશેનો મત વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જીલ્લા કોંગ્રેસમાં પ્રદેશકક્ષાએથી હોદ્દેદારોમાં ભારે નારાજગી અને અણગમો જાેવા મળી રહ્યો છે.જેને લઈ જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ટપોટપ નારાજગીનામાં ધરી કોંગ્રેસ પક્ષ માંથી છેડો ફાડી નાંખ્યા હતા.
ત્યારે તાજેતરમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરથી નારાજ થઈ ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, પ્રદેશ કોંગ્રેસ યુવા હોદ્દેદાર નિકુલ મિસ્ત્રી,વાગરા અને શહેર તેમજ તાલુકાના ૭ હોદ્દેદારોએ રાજીનામાં આપી દીધા હતા. આજે રવિવારે તેઓ સત્તાવાર જાહેરાત મુજબ વિધિવત ભાજપમાં જાેડાઈ ગયા હતા.
ભરૂચ ડિસ્ટ્રીકટ કો ઓ સહકારી બેંક ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ,વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા,બાંધકામ સમિતિના ધર્મેશ મિસ્ત્રી, નિશાંત મોદી, દિપક મિસ્ત્રી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ૪૦૦ જેટલા હોદ્દેદારો અને કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીના ૨ હોદ્દેદારોને કેસરિયો ખેસ પહેરાવાયો હતો.