Western Times News

Gujarati News

એક વર્ષમાં અંદાજીત 6.38 લાખ ઓપરેશન મોતિયાના ગુજરાતમાં થયા

(એજન્સી)અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોતિયાના ઓપરેશન્સના ૧,૨૬,૩૦૦ના નિર્ધારિત લક્ષ્યાંકના ૫૦૪% એટલે કે ૬,૩૬,૪૨૮ મોતિયાના ઓપરેશન્સ કરીને દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

એટલું જ નહીં, પરંતુ પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૦,૦૦૦થી વધુ મોતિયાના ઓપરેશન્સનો દર હાંસલ કરીને ગુજરાત આ શ્રેણીમાં પણ અગ્રણી રાજ્ય રહ્યું છે.

વર્ષ ૨૦૨૩-૨૪ની વાત કરીએ તો, રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન હેઠળ ગુજરાતમાં મોતિયાના ૧,૫૧,૭૦૦ ઓપરેશન્સનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેની સામે ગુજરાતે માત્ર ૮ મહિનાઓમાં જ ૮૧%થી વધુ ઓપરેશન્સ એટલે કે ૧,૨૩,૯૭૫ મોતિયાના ઓપરેશન્સ પૂર્ણ કરી લીધા છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૩ વર્ષના લક્ષ્યાંક સાથે મે ૨૦૨૫ સુધીમાં દેશમાં અંધત્વનો દર ૦.૨૫% સુધી ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨માં રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાનની શરૂઆત કરી છે.

કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ ૫૦ વર્ષથી વધુ વયના મોતિયાના કારણે અંધ અથવા તો ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે. અત્યારસુધીમાં રાજ્યમાં ૧,૨૩,૯૭૫ મોતિયાના ઓપરેશન્સ થયા છે… માત્ર ૮ મહિનાઓમાં નિર્ધારિત લક્ષ્યાંકના ૮૧%થી વધુ મોતિયાના ઓપરેશન્સ ગુજરાતમાં થઈ ચૂક્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.