વાપી વીઆઈએ ગ્રાઉન્ડ ખાતે ૭૪મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ) વાપી, વી.આઈ.એ.ગ્રાઉન્ડ, વાપી ખાતે ભારતનો ૭૪ મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં વી.આઈ.એ. ના પ્રમુખ શ્રી કમલેશ પટેલ દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી અને તેમણે ૭૪ માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ આપી અને વાપી તેમજ આસપાસની જનતા માટે માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તે માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે તેમણે આપણા દેશે છેલ્લા ૭ દાયકામાં વિશ્વસ્તરે જે પ્રગતિ કરી છે તેને બિરદાવી હતી અને ઉમેર્યું હતું કે આ પ્રગતિમાં યુવાવર્ગનું ખુબ મોટું યોગદાન રહ્યું છે અને દેશના યુવાવર્ગને અનુરોધ કર્યો હતો કે દેશને નવી ઉંચાઈએ લઇ જવામાં ભવિષ્યમાં પણ તેઓ આવો જ સાથ સહકાર આપતા રહે.
વી.આઈ.એ. ના માજી પ્રમુખ તેમજ એડવાઈઝરી બોર્ડના મેમ્બર શ્રી પ્રકાશ ભદ્રાએ પણ ગણતંત્ર દિનની શુભકામના આપી જણાવ્યું કે આપણા દેશના માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા દેશની વિકાસ અને ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને તેના ભાગરૂપે જ તેમણે ડિજિટલ ઇન્ડિયા, આર્ત્મનિભર ભારત જેવા અનેક મુદ્દાઓને પ્રોત્સાહન આપ્યું છે. પ્રકાશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં જ આપણા માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ડિજિટલ ઇન્ડિયાના આગળના પગલાં સ્વરૂપે આપણા દેશે ભારત ઓ.એસ. નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.
વધુમાં તેમણે યુવાવર્ગને અનુરોધ કર્યો કે તેઓ ઉદ્યોગો સાથે જાેડાઈને કાર્ય કરશે અને પોતાના અંગત વાહનોને બદલે બસ, ટ્રેન, રીક્ષા જેવા સરકારી વાહનોનો ઉપયોગ કરશે તો આપણે પ્રદૂષણમાં પણ ઘટાડો કરી શકીશું અને તેમણે અંતે જણાવ્યું કે હું યુવાવર્ગને ખાત્રી આપું છું કે ઉદ્યોગકારો તરફથી દેશની પ્રગતિ અને પ્રદુષણ નિયંત્રણ માટે એમને અમારો સંપૂર્ણ સાથ સહકાર મળશે જેથી કરીને આપણા દેશને નવી ઉંચાઈઓ પર લઇ જઈશું.
આ કાર્યક્રમમાં સહ માનદમંત્રી શ્રી કલ્પેશ વોરા, વી.આઈ.એ.ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર શ્રી રજનીશ આનંદ, વી.આઈ.એ.ના ઇનવિટી મેમ્બર શ્રી માધુભાઈ મંગુકિયા, વી.આઈ.એ.ના કમિટીના અને નોટીફાઈડ એરિયા ગવર્નિંગ બોર્ડ મેમ્બર શ્રી હેમંત પટેલ, વી.આઈ.એ.ના કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.