આશ્રમ શાળાઓમાં ૮૪૭ જ્ઞાન સહાયકની ભરતી કરાશે

નવી દિલ્હી, રાજ્યની આશ્રમશાળાઓમાં શિક્ષકો, સ્ટાફની અછત, ડ્રોપ આઉટ રેશ્યો સહિતના મુદ્દે થયેલી ગુજરાત હાઈકોર્ટમાં રિટ અરજીની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી મહત્ત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું કે, જેમાં જણાવ્યું હતુ કે,’આશ્રમશાળાઓમાં પણ રાઈટ ટુ એજયુકેશન (આરટીઇ)એક્ટની જોગવાઈઓની અમલવારી થશે અને તે મુજબ તેમાં પણ શિક્ષણ અને સુવિધાઓ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ બનાવાશે.
આ માટે સરકાર દ્વારા ગ્રાંટ પણ જાહેર કરાઈ છે. આરટીઇ મુજબના પાલન માટે સરકાર દ્વારા ૮૪૭ જેટલા જ્ઞાન સહાયકોની ભરતી આશ્રમશાળાઓમાં કરશે.’ ગુજરાત હાઈકોર્ટે આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળાઓ અને ઓરડાની સંખ્યા સહિતની માહિતી રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી હતી.
અરજદારપક્ષ તરફથી રિટ અરજીમાં આક્ષેપ કરાયા હતા કે, ‘આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ઘટ અને અન્ય સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસરો પડી રહી છે. સરકાર ભરતી મુજબ નિયમો કરે છે, પરંતુ કોન્ટ્રાકટ પૂરો થાય એટલે તેઓને કાઢી મૂકે છે. આશ્રમશાળાઓમાં શિક્ષકોની ચિંતાજનક ઘટ છે. તો સરકારે નોન ટીચિંગ સ્ટાફની ભરતી અંગે પણ કોઈ ખુલાસો કર્યાે નથી.
રાજ્ય સરકાર તરફથી જણાવાયું હતું કે, ‘આશ્રમશાળાઓના વિવિધ મુદ્દાઓ અને તેના નિરાકરણને લઇ રાજય સરકાર દ્વારા એક ખાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે. જેણે આશ્રમ શાળાઓના રિસ્ટ્રક્ચરિંગ સહિતની બાબતોને લઈ સરકારમાં પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે.’
સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, ‘આશ્રમ શાળાઓમાં પણ હવે આરટીઇ એકટની જોગવાઇઓની અમલવારી થશે અને તેના અનુસંધાનમાં લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં શિક્ષકોની ભરતીના નિયમો પણ તૈયાર થઇ ચૂક્યા છે.
જેથી અન્ય શાળાઓ અને આક્ષમ શાળાઓમાં એકસૂત્રતા જળવાઈ રહે. એટલું જ નહીં આશ્રમ શાળાઓમાં અપાતું શિક્ષણ પણ હવે રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તક સમાવિષ્ટ કરી દેવાયું છે. આ અંગે ટૂંક સમયમાં જ નોટિફિકેશન જારી કરવામાં આવશે.’SS1MS