ગાઝામાં ઇઝરાયેલના ભીષણ હવાઇ હુમલામાં ૮૫ના મોત થયા

ઈઝરાયેલે ગાઝામાં ખોરાક, દવાઓ સહિતની રાહત સામગ્રીની ટ્રકોના પ્રવેશને મંજૂરી આપી
ઈઝરાયેલે મંગળવારે કરેલાં હુમલામાં એક શાળામાં બનાવેલા શરણાર્થી ગૃહ અને મકાનમાં રહેલાં ૨૨ જણાંના મોત નિપજ્યાં હતાં
ડેર અલ-બલાહ,
ગાઝામાં નવી સૈન્ય કાર્યવાહી અટકાવવાની સાથી દેશોની અપીલને અવગણીને ઈઝરાયેલે મંગળવારે કરેલાં આક્રમક હવાઈ હુમલામાં ઓછામાં ઓછાં ૮૫થી વધુ પેલેસ્ટેનિયન નાગરિકોના મોત નિપજ્યાં હતાં. દરમિયાનમાં આંતરરાષ્ટ્રીય દબાણને પગલે ઈઝરાયેલે પેલેસ્ટેનિયન નાગરિકો માટે મોકલવામાં આવતી સહાયની ડઝનેક ટ્રકને ગાઝામાં પ્રવેશની મંજૂરી આપી હતી. ઉલ્લેખની છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણને પગલે ઈઝરાયેલે ગયા સપ્તાહે ખોરાક, દવાઓ અને ઈંધણ સહિતની રાહત સામગ્રી ગાઝામાં લઈ જવાની મંજૂરી આપી હતી. સોમવારે આ પૈકીની પાંચ ટ્રકો કેરેમ શાલોમ થઈ ગાઝામાં પ્રવેશી હતી.
જ્યારે મંગળવારે વધુ ડઝનેક ટ્રક્સ લોટ, બેબી ફૂડ તથા મેડિકલ સપ્લાય સહિતની ચીજ-વસ્તુઓ લઈ ગાઝા પહોંચી હતી. ઈઝરાયેલે મંગળવારે કરેલાં હુમલામાં એક શાળામાં બનાવેલા શરણાર્થી ગૃહ અને મકાનમાં રહેલાં ૨૨ જણાંના મોત નિપજ્યાં હતાં. ઈઝરાયેલી સૈન્યના દાવા અનુસાર, તેમણે અહીં આવેલા હમાસના કમાન્ડ સેન્ટરને ટાર્ગેટ બનાવ્યું હતું, અને હુમલો કરતાં પહેલાં નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની ચેતવણી આપી હતી. ડેર અલ-બલાહમાં કરાયેલાં અન્ય એક હુમલામાં ૧૩ જણાના જ્યારે તેનાંથી થોડાંક અંતરે આવેલા નુસરત રિફ્યુજી કેમ્પ પરના હુમલામાં ૧૫ જણાનો જીવ ગયો હતો તેમ અલ અક્સ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે દક્ષિણના ખાન યુનિસ શહેર પરના હુમલામાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો હતો.
ઈઝરાયેલી સેનાએ જણાવ્યું હતું કે, હમાસના આતંકીઓ રહેણાંક વિસ્તારમાં નાગરિકોને ઢાલ બનાવી રહ્યાં છે.ઇઝરાયેલી હુમલાઓમાં વધારો થવાને કારણે હમાસ સાથે ઘણા દેશો સતત યુદ્ધવિરામ કરાર માટે તૈયારી કરી રહ્યા છે. આ દરમિયા ઇઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ગાઝામાં યુદ્ધવિરામની આશાઓ વધુ ધૂંધળી થઈ રહી છે. ગાઝામાં યુદ્ધ શરુ થયું જ્યારથી હમાસના આતંકવાદીઓએ ૨૦૨૩માં દક્ષિણ ઈઝરાયેલમાં ઘુસણખોરી કરીને ૧૨૦૦ લોકોને મારી નાખ્યા હતા. ઈઝરાયેલે વળતા જવાબમાં પેલેસ્ટાઈનના ૫૨૮૦૦થી વધુ લોકોને મારી નાખ્યા છે.SS1