Western Times News

Gujarati News

ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારાની કેન્દ્ર સરકારની જાહેરાત

ગત વર્ષની તુલનાએ તલના પાકના સૌથી વધુ ૪૫૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો, તૂવેર-અડદ દાળના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂ.૩૦૦નો વધારો કરાયો

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ર્નિણયો લેવામાં આવ્યા છે. સરકારે બજાર સત્ર ૨૦૨૧-૨૨ માટે ખરીફ પાક પર એમએસપી એટલે કે ન્યુનત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી. બુધવારે આ અંગે માહિતી આપતાં કેન્દ્ર સરકારે કહ્યું કે એમએસપીમાં ગત વર્ષની તુલનામાં સૌથી વધુ વૃદ્ધિ તલના પાક (રૂ. ૪૫૨ પ્રતિ ક્વિન્ટલ) પર કરવામાં આવી છે. આ પછી, તૂવેર અને અડદ પરના એમએસપી (બંને પ્રતિં ક્વિન્ટલ રૂ .૩૦૦) માં વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે વડા પ્રધાનની અધ્યક્ષતામાં બુધવારે મંત્રીઓ પરિષદની બેઠકમાં ખરીફ પાકનો એમએસપી જાહેર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. સામાન્ય સ્તરના જે અનાજના ભાવ ૧૮૬૮ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતા તે ૨૦૨૧-૨૨માં ૧૯૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. જે બાજરાના ભાવ ૨૦૨૦-૨૧માં ૨૧૫૦ રુપ્યા પ્રતિ ક્વિન્ટલ હતા તે હવે પ્રતિ ક્વિન્ટલના ૨૨૫૦ રૂપિયા થઈ ગયા છે.

આ ર્નિણયો વિશે માહિતી આપતી વખતે કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે એમએસપીને ખરીફ સીઝન પૂર્વે જાહેર કરવામાં આવી છે અને તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રેલવે ટ્રાફિકને વધુ સુરક્ષિત બનાવવા માટે, રેલવેને ૪ જી સ્પેક્ટ્રમ વધુ ફાળવવામાં આવ્યા છે. હમણાં સુધી રેલવેમાં ૨ જી સ્પેક્ટ્રમનો ઉપયોગ કરાતો હતો. એટલું જ નહીં, હવે રેલવેમાં સ્વચાલિત ટ્રેન સંરક્ષણની સિસ્ટમ ખૂબ મજબૂત કરવામાં આવી રહી છે. ચાર ભારતીય કંપનીઓએ એવી સિસ્ટમ બનાવી છે કે જેથી બે વાહનોની ટક્કર ન થાય.

તે જ સમયે, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ટ્‌વીટ કર્યું હતું કે મોદી સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૧-૨૨ માટે તમામ ખરીફ પાક માટે લઘુતમ ટેકાના ભાવને મંજૂરી આપી દીધી છે. સરકારના ર્નિણયનો લાભ દેશના કરોડો ખેડૂતોને મળશે.

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા સાત વર્ષોમાં કૃષિ ક્ષેત્રે એક પછી એક એવા ઘણા ર્નિણયો લેવામાં આવ્યા હતા, જે ખેડૂતની આવક વધારશે, ખેડૂતો મોંઘા પાક તરફ આકર્ષિત થશે, ખેડૂતના ઘરે સમૃદ્ધિ આવશે અને ખેતી એક નફાકારક સોદો બની રહેશે. ઉત્પાદન ખર્ચના ૧.૫ ગણા (અથવા ઉત્પાદનના ખર્ચ પર ઓછામાં ઓછો ૫૦ ટકા નફો)ના સ્તરે એમએસપી નિર્ધારિત કરવાનો સરકારનો આ ક્રાંતિકારી ર્નિણય છે.

કૃષિ કાયદાઓનો વિરોધ કરતા ખેડૂત સંગઠનોને આડકતરી સંદેશ આપતાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરએ કહ્યું કે એમએસપી છે જ અને એમએસપી એટલું જ રહેશે. રવી અને ખરીફના એમએસપી પણ સતત જાહેર કરવામાં આવી રહ્યા છે. એમએસપી ચાલુ જ છે, એમએસપી વધી રહી છે અને એમએસપી પર ખરીદી પણ વધી રહી છે.

કેન્દ્ર સરકારના અન્ય ર્નિણય અંગે માહિતી આપતાં કૃષિ પ્રધાને જણાવ્યું હતું કે ફોસ્ફેટિક ખાતરોના આંતરરાષ્ટ્રીય ભાવોમાં થયેલા વધારાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે આ ખાતરો પરની સબસિડીમાં વધારો કરીને ઐતિહાસિક પગલું ભર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.