UKથી અમદાવાદ આવેલી ફ્લાઇટનો પ્રવાસી પોઝિટિવ

Files Photo
અમદાવાદ, દેશમાં કોરોનાના કેસ હાલમાં ઓછા થયા છે. જાેકે, આ દરમિયાન દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવતા ફરીથી ડર ફેલાયો છે. આ દરમિયાન ગઈકાલે શુક્રવારે યુકેથી અમદાવાદ આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. હાલ આ પ્રવાસીને ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યો છે.
આ સાથે જ તેની આસપાસમાં બેઠેલા મુસાફરોને પણ કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે તમામ નિયમો પાળવાની સૂચના આપી દેવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટને લઈને હાલ અમદાવાદ તંત્ર સજ્જ બન્યું છે.
એરપોર્ટ પર આંતરાષ્ટ્રીય ફલાઈટમાં આવતા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાઇરિસ્ક વાળા ૧૧ દેશમાંથી આવતા લોકોના ફરજીયાત ટેસ્ટિંગ થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે યુકેથી ૨૨૨ પ્રવાસી સીધી ફ્લાઇટ મારફતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા.
હાલ તંત્ર તરફથી હાઈરિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ જ રીતે ૨૨૨ પ્રવાસીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રવાસીનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
આ પ્રવાસી અમદાવાદ બહારનો હોવાનું જાણવા મળ્યું છે. એવી પણ જાણકારી મળી છે કે આ પ્રવાસી યુકેમાં કોરોના પોઝિટિવ થયો હતો. જે બાદમાં ૧ ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નેગિટિવ આવી ગયો હતો. આથી તેને પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ ખાતે તેનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલ પ્રવાસીનો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રવાસીને કોરોનાના કયા વેરિઅન્ટનો ચેપ લાગ્યો છે તેની તપાસ માટે હાલ તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે. બીજી તરફ પ્રવાસીને નિયમ પ્રમાણે હોમ ક્વૉરન્ટિન સહિતની તમામ તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. વ્યક્તિને ઓમિક્રોન છે કે નહીં તેની જાણ પુણેથી રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. હાલ તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
હાઈરિસ્ક દેશમાંથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી ફ્લાઈટના તમામ પ્રવાસીઓના આરટી-પીસીઆર કરવામાં આવે છે. ગત રાત્રે યુકેથી સીધી ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ આવી હતી. ફ્લાઈટમાં ૨૨૨ પેસેન્જર હતા. તમામના આરટી-પીસીઆર કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧ પ્રવાસીઓ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પ્રવાસીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. બીજી તરફ નવા વેરિઅન્ટને લઈ તંત્ર સજ્જ બન્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં હાલ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમાં ૩૫૦ વેન્ટિલેટર બેડ છે, તેમજ ૮૫૦ ઓક્સિજન બેડ છે. જરૂર પડે તો આ ક્ષમતા ૩,૦૦૦ સુધી વધારવામાં આવશે. પહેલી અને બીજી લહેર દરમિયાન જે મુશ્કેલી પડી હતી તેવી કોઈ મુશ્કેન ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ બનાવ્યો છે. વધારે સંક્રમક્તાના કારણે લોકોમાં પણ ભય ફેલાયેલો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનના શંકાસ્પદ કેસના પગલે લોકો ડરી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે કોરોના વાયરસના નવા કેસોની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસમાં નજીવો ઘટાડો થયો હતો.
શુક્રવારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૪૫ નવા કેસો નોંધાયા છે. આ દરમિયાન ૪૫ દર્દીઓ સાજા થયા હતા. શુક્રવારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૫ નવા કેસો નોંધાયા હતા. જ્યારે કોરોના વાયરસના કારણે એકપણ વ્યક્તિનું મોત નીપજ્યું નથી. ગુજરાતમાં કોરોના રસી અંગે વાત કરીએ તો ગુરુવારે સાંજના પાંચ વાગ્યાથી શુક્રવારે સાંજના ચાર વાગ્યા સુધીમાં ૩,૯૦,૧૫૪ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ ૮,૨૨,૩૯,૮૫૭ કોરોના ડોઝ આપવામાં આવ્યા છે.
શુક્રવાર સાંજ સુધીમાં રાજ્યમાં કોરોના વાયરસના કુલ ૩૧૮ એક્ટિવ કેસ છે. જે પૈકી ૮ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે અને ૩૧૦ દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં ૮,૧૭,૨૦૩ દર્દીઓ સામે આવી ચૂક્યા છે. જેમાંથી ૧૦,૦૯૪ દર્દીનાં મોત નીપજ્યા હતા.SSS