ચૂંટણી રેલીને સંબોધી પરત ફરેલા અરવિંદ કેજરીવાલ કોરોના પોઝીટીવ
નવી દિલ્હી: દેશમાં કોરોનાના સતત વધતા જતા પ્રભાવ છતાં આપણા રાજકીય નેતાઓ બિન્દાસ રીતે હજારોની રેલી-સભાઓ યોજી રહ્યા છે અને તેનાથી સંક્રમણની શકયતા વધશે તેવી તેની ચેતવણી છતાં પણ ચાલું રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોઝીટીવ જાહેર થયા છે.
તેઓ હજુ ગઈકાલે જ ઉતરાખંડના દહેરાદૂનમાં ચૂંટણી રેલીને સંબોધીત કરીને પરત આવ્યા હતા અને આજે સવારે ટવીટ કરીને તેઓ પોઝીટીવ હોવાનું જાહેર કરતા રેલીમાં તેમની સાથે સામેલ આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ ચિંતા વધી ગઈ છે. જો કે શ્રી કેજરીવાલે ટવીટમાં કહ્યું કે તેમના લક્ષણો ખૂબ જ હળવા છે છતાં તબીબી સલાહ મુજબ તેઓ આઈસોલેશનમાં રહેશે.
તેઓએ ગઈકાલે ઉતરાખંડના દહેરાદૂનમાં ચૂંટણી રેલી યોજી હતી. દિલ્હીમાં પણ કોવિડના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. હવે કેજરીવાલને ઓમિક્રોનનું સંક્રમણ છે કે કેમ તે અંગે તેમના સેમ્પલના જીનોમ સિકવન્સ થશે. કેજરીવાલે વેકસીનના બન્ને ડોઝ લીધા છે. તેઓએ પોતાની સાથે સંપર્કમાં આવેલા લોકોને તેમનો કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે પણ અપીલ કરી છે.