ભારતની મદદથી શ્રીલંકાની ડૂબતી આર્થિક નૈયા બચી ગઈ

નવી દિલ્હી, ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. આ બધા વચ્ચે ભારતે તેને મદદ પેટે ૯૦ કરોડ ડોલરની લોન આપવાની જાહેરાત કરી છે.
શ્રીલંકાના પ્રમુખ અર્થશાસ્ત્રી અને શ્રીલંકન સેન્ટ્રલ બેંકના પૂર્વ ડેપ્યુટી ગવર્નર ડબલ્યુએ વિજેવર્ધનેએ ભારતની આ મદદની પ્રશંસા કરી છે અને કહ્યું છે કે, ભારત તરફથી મળેલી આ આર્થિક મદદે હાલ પૂરતી શ્રીલંકાની ડૂબતી નૈયાને બચાવી લીધી છે. આ સાથે જ તેમણે શ્રીલંકાની આર્થિક સ્થિતિને લઈ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ચેતવણી પણ આપી છે.
શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ગયો છે અને તેવામાં તે દેવાળું ફૂંકે તેવી સ્થિતિ સર્જાઈ છે. અર્થશાસ્ત્રી વિજેવર્ધને શનિવારે રાષ્ટ્રપતિને ચેતવણી આપતા કહ્યું હતું કે, વિદેશી મુદ્રાની તંગી સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પાસેથી તાત્કાલિક લોન લેવાની જરૂર છે.
શ્રીલંકાનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ સમાપ્ત થઈ ગયો છે અને જરૂરિયાતની તમામ ચીજ-વસ્તુઓની તંગી સર્જાઈ છે.
દેશમાં મોંઘવારી ચરમસીમાએ છે. આ સ્થિતિમાંથી ઉગરવા માટે ભારતે ગુરૂવારે શ્રીલંકાને ૯૦ કરોડ ડોલરનું ઋણ આપવાની જાહેરાત કરી હતી.
શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલેએ સેન્ટ્રલ બેંકના ગવર્નર અજીત નિવાર્ડ કાબરાલની મુલાકાત લીધી હતી અને તેમને આર્થિકરૂપે સમર્થન આપવાની વાત કરી હતી.
ભારતીય હાઈ કમિશન તરફથી એક ટિ્વટ પણ કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ આર્થિક મદદમાં ૫૦.૯ કરોડ ડોલર કરતાં વધારેની રાશિ એશિયન ક્લિયરિંગ યુનિયન સમજૂતીને સ્થગિત કરવા અને ૪૦ કરોડ ડોલરની કરન્સી એક્સચેન્જનો સમાવેશ થાય છે.’SSS