રેલ્વની DRUCCની બેઠકમાં ભુજ-હરિદ્વાર ટ્રેન શરૂ કરવા જાેરદાર રજુઆત કરાઇ
ભુજ: ડિવિઝનલ રેલ્વે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી ડી.આર.યુ.સી.સી. ની નવી કમીટીની પ્રથમ મીટીંગ ડી.આર.એમ. ઓફિસ સભાગૃહ નરોડા અમદાવાદ મધ્યે ડી.આર.એમ. શ્રી તરૂણકુમાર જૈનની અધ્યક્ષતામાં તથા રેલ્વે ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં ડિવિઝનનાં તમામ ૧૭ સભ્યોએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
રેલ્વે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશન ભુજનાં શ્રી પ્રબોધ મુનવર તથા સામાજિક કાર્યકર શ્રી જગદીશગીરી એમ. ગોસ્વામીએ ભુજથી હરિદ્વાર નવી ટ્રેન શરૂ કરવા તથા જાેધપુર-ગાંધીધામ ટ્રેનને ભુજ સુધી લંબાવવા ભારપૂર્વક રજુઆતો કરી હતી.ગાંધીધામનાં શ્રી પારસમલ નાહટા તથા શ્રી રાકેશકુમાર જૈને પાલનપુર-ગાંધીધામ અને પાલનપુર-ભુજ બંધ પડેલી રેલ્વે સેવા ફરી શરૂ કરવા બાબત, કચ્છની ટ્રેનોમાં એસી કોચોમાં બેડીંગ વ્યવસ્થા તુરત શરૂ કરવા, ભુજ-અમદાવાદ, ભુજ રાજકોટ વચ્ચે રેલ્વે સેવા શરૂ કરવા રજુઆતો કરી હતી.
ઉપસ્થિત દરેક સભ્યોએ પોતાનાં વિસ્તારોનાં રેલ્વે પ્રશ્નો રજુ કર્યા હતા. ડી.આર.એમ. શ્રી તરૂણકુમાર જૈને કોરોના કાળની અંદર અમદાવાદ ડિવિઝને કરેલ પ્રશંસનીય કામગીરીની માહિતી આપી હતી. તેમજ યાત્રિક સુવિધાઓ માટે સારૂં કામ થયું હોવાનું જણાવ્યું હતું. ગાડીઓ વિજળીથી ચાલે તેવા પ્રયત્નોને ઝડપી બનાવવામાં આવ્યા છે.
ભુજ સ્ટેશને ગાડીઓને વિજળીથી જાેડવામાં આવશે. તેમજ પાલનપુર-ભુજ વચ્ચે ટ્રેકનું કામ ચાલુ છે. પૂર્ણ થયે પાલનપુર-ભુજ-ગાંધીધામ ટ્રેનો શરૂ કરી દેવામાં આવશે.ઝેડ.આર.યુ.સી.સી. ની એક માત્ર સીટ માટે ૧૭ સભ્યોએ શ્રી હિતેનભાઇ વસંતની સર્વાનુમતે વરણી કરી હતી. અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.