મોદી ૨૬ મેના રોજ હૈદરાબાદ અને ચેન્નાઈમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Modi.jpg)
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ મેના રોજ ચેન્નાઈ અને હૈદરાબાદની મુલાકાતે જઈ રહ્યા છે. મોદી ચેન્નાઈમાં અનેક રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ૧૧ મોટી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે, જેની કિંમત લગભગ ૩૧૪૦૦ કરોડ છે.
આ તમામ પ્રોજેક્ટ રેલ કનેક્ટિવિટી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત છે. આ સિવાય પીએમ મોદી ચેન્નાઈની મુલાકાત દરમિયાન અનેક રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રના નામે સમર્પિત કરશે, તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટેના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, જેના પર ૨૧૪૦૦ કરોડથી વધુનો ખર્ચ થશે.
આ તમામ પ્રોજેકટ થકી આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક પરિવર્તન થશે તેમજ લોકોની પ્રગતિ થશે. પીએમ મોદી ૨૯૦૦ કરોડથી વધુના ખર્ચના ૫ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાંથી ૭૫ કિમી લાંબી મદુરાઈ-ટેની રેલ લાઈન છે. તે એક ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ હતો જેને રૂ. ૫૦૦ કરોડના ખર્ચે રૂપાંતરિત કરવામાં આવ્યો છે.
આ સાથે વડાપ્રધાન ૫૯૦ કરોડના ખર્ચે બનેલ ૩૦ કિલોમીટર લાંબી રેલ્વે લાઇન તાંબરમ-ચંગલપટ્ટુનું ઉદ્ઘાટન કરશે. તેનાથી તમામ શહેરી સેવાઓનો વિસ્તાર થશે. આ સાથે વડાપ્રધાન મોદી તમિલનાડુમાં ગેસ પ્રોજેક્ટ અને વડાપ્રધાન આવાસમાંથી આયોજિત ૧૧૫૨ ઘરોનું ઉદ્ઘાટન પણ કરશે.
ચેન્નાઈની મુલાકાત દરમિયાન પીએમ મોદી ૨૬૨ કિલોમીટર લાંબા બેંગ્લોર-ચેન્નઈ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ કરશે. જે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને જાેડશે. આ સાથે વડાપ્રધાન બીજી ઘણી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરવાના છે.
પીએમઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર સાંજે લગભગ ૫.૪૫ વાગ્યે વડા પ્રધાન ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં ૩૧,૪૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતની ૧૧ પ્રોજેક્ટનો શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ્સને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા, કનેક્ટિવિટી વધારવા અને પ્રદેશમાં જીવન સરળ બનાવવા તરફના એક પગલા તરીકે જાેવામાં આવે છે. આ પહેલા પીએમ મોદી બપોરે લગભગ ૨ વાગ્યે ISB હૈદરાબાદના ૨૦ વર્ષ પૂરા થવા પર આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે.HS1