Western Times News

Gujarati News

GGMAએ સાથે સંકળાયેલા 6000 – 7000 સભ્યો સ્ટાફ સાથે તિરંગા યાત્રામાં જોડાયા

ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ભવ્ય “તિરંગા પદયાત્રા” યોજાઈ

ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને પૂર્વ મેયર શ્રી અમિતભાઈ શાહ, સહ કોષાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અગ્રણી વેપારી ઉપસ્થિત રહ્યાં

અમદાવાદ,સમગ્ર ભારત દેશ આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે. દેશના અનેક શહેરોમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેરમાં ભવ્ય “તિરંગા પદયાત્રા” યોજવામાં આવી હતી, જેનું સમગ્ર આયોજન ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતુ.

75 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે 13 ઓગસ્ટના રોજ ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવેલી આ ભવ્ય તિરંગા પદયાત્રાનું પ્રસ્થાન શહેરના હાર્દ સમા ઘી કાંટા મેટ્રો સ્ટેશન નજીક આવેલ મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ ખાતેથી કરવામાં આવ્યું હતુ,

જેમાં ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ અને પૂર્વ મેયર શ્રી અમિતભાઈ શાહ, સહ કોષાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ તેમજ અગ્રણી વેપારી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. 13 ઓગસ્ટે બપોરે 3 કલાકે નીકળેલી આ ભવ્ય તિરંગા પદયાત્રામાં ધી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન સાથે સંકળાયેલા 6000 -7000 જેટલા સભ્યો પોતાના સ્ટાફ સાથે જોડાયા હતા.

આ ભવ્ય તિરંગા પદયાત્રા જ્યારે ગારમેન્ટ ઉદ્યોગના હબ એવા ઘી કાંટા વિસ્તાર મા આવેલ અલગ અલગ માર્કેટ સહિત શાહપુર દરીયાપુર વિસ્તારમાં અને રીલીફ રોડ ઉપર નગરશેઠના વંડા પાસેથી પોતાના રૂટમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે ચોતરફ લોકો તિરંગા સાથે જોવા મળી રહ્યાં હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતુ. તિરંગા પદયાત્રામાં જોડાયેલા તમામ લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જય.. નારા લગાવતા સમગ્ર વાતાવરણ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતુ.

એસોસિએશનના પ્રમુખ શ્રી વિજયભાઈ પુરોહિત ના જણાવ્યા અનુસાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીના આહવાન પર જ્યારે દેશના દરેક નાગરિક આઝાદીના 75 વર્ષ ના આ અમૃત મહોત્સવને એક ઉત્સવની જેમ ઉજવણી કરતું હોય ત્યારે અમારા ગારમેન્ટ ઉદ્યોગના દરેક વેપારી

અને તેમના સ્ટાફ પણ આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમને અનુલક્ષીને દરેક વ્યાપારીને ત્યાં તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું અને એ સાથે સાથે જણાવતા ખુબ જ આનંદની લાગણી અનુભવાય છે કે અમારા એસોસિએશનના ઘણા બધા વેપારી મિત્રોએ આ તિરંગા તૈયાર કરવામાં પણ ખૂબ સારો ભાગ ભજવ્યો છે.

ભારત દેશ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દેશવાસીઓને મળેલી આ આઝાદી માટે દેશના વીર સપૂતો અને ક્રાંતિકારીઓએ પોતાના જીવનને દેશ માટે સમર્પિત કર્યું છે. દેશને મળેલી આઝાદીના મહત્વને સમજાવવા અને દેશની આઝાદી માટે પ્રાણોની આહૂતિ આપનારા તમામ ક્રાંતિવીરો અને વીર સપૂતોનું સ્મરણ હંમેશા રહે

અને યુવાઓને દેશભક્તિની ભાવના સાથે જોડવા માટે જીજીએમએ દ્વારા આ ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાનને વધુ ઉત્તેજક બનાવવા માટે પણ આ ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.