કોરોનામાં મોટી કમાણી કરી હોવા છતાં હોસ્પિટલોએ રિટર્નમાં નહી દર્શાવી હોવાની આશંકા
મોટી હોસ્પિટલો, દવાની દુકાનો સહિત ૨ હજાર કરદાતાને ITની નોટિસ- ટેક્સ ઉપરાંત વ્યાજ અને પેનલ્ટી ભરવા પડશે.
(એજન્સી) અમદાવાદ, કોરોનાકાળ દરમિયાન વ્યક્તિગત કરદાતા ઉપરાંત મોટી કંપનીઓ, હોસ્પિટલ, દવાની દુકાનોના માલિક સહિત શહેરમાં લગભગ ૨ હજાર લોકોને ઈન્કમટેક્સ વિભાગે (Income tax) ૫થી ૫૦ પાનાની નોટિસ ફટકારી છે. નોટિસમાં બારીક વિગતો માંગવામાં આવી છે. કરદાતા ખુલાસો ન કરે તો તેણે ટેક્સ ઉપરાંત વ્યાજ અને પેનલ્ટી ભરવા પડશે.
ઈન્કમટેક્સ વિભાગને એવી માહિતી મળી હતી કે, કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલો અને દવાની દુકાનોએ મોટાપાયે રોકડમાં વ્યવહારો કર્યા હતા. મોટાભાગના કેસમાં રિટર્નમાં આવક પૂરેપૂરી નહીં દર્શાવી હોવાની આશંકા છે. હાલ આવકવેરા વિભાગે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન થયેલા વ્યવહારો અંગે ખુલાસો માગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નોટિસની સંખ્યા ૨ હજારથી ઘણી વધી શકે છે.
રૂલ ૧૩૬ હેઠળ આપવામાં આવેલી નોટિસોમાં રોકડમાં થયેલા વ્યવહારો સંદર્ભમાં આવકનો સોર્સ પૂછવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન કેટલીક કોર્પાેરેટ હોસ્પિટલોએ બેડની તેમજ દવાની અછતનો લાભ ઉઠાવી કરોડોની કમાણી કરી હતી. આ કોર્પાેરેટ હોસ્પિટલોએ મેડિકલ બિલ રોકડમાં સ્વીકારવાનો આગ્રહ રાખ્યો હતો. આ ઉપરાંત દવાના કેટલાક વેપારીઓએ પણ ઊંચા ભાવે દવાઓ રોકડમાં વેચી તગડી કમાણી કરી હતી પણ રિટર્નમાં પૂરી આવક બતાવી ન હતી.