Western Times News

Gujarati News

શું ચીન ભારતીયોની કૈલાશ માનસરોવર યાત્રાને રોકીને કરારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે?

File

સતત પાંચમા વર્ષે પણ બંધ છે ભારતીયો માટે કૈલાસ માનસરોવરની યાત્રા

(એજન્સી)બેઈજીંગ, ચીન એવી દરેક તક શોધી રહ્યું છે જેના દ્વારા તે ભારતને મુશ્કેલીમાં મુકી શકે.કયારે ભારતના પડોશી દેશોને લોન આપીને તો કયારેક તેમને પોતાના વશમાં લાવવા માટે બીજી કોઇ યુકિત રમીને. કૈલાસ માન સરોવર યાત્રાને લઇને પણ તે કંઇક આવું જ કરી રહ્યા છે. ભારતીયો માટે કૈલાસ માનસરોવરની યાત્રા ૨૦૨૦થી સતત પાંચમા વર્ષ બંધ છે. Kailash Man sarovar yatra

બંને સત્તાવાર રસ્તાઓ બંધ છે. ચીને ગયા વર્ષ નેપાળ દ્વારા માર્ગ ખોલ્યો હતો પરંતુ કડક નિયમોના કારણે તે ભારતીયો માટે વ્યવહારીક રીતે બંધ છે. ટ્રાવેલ બંધ કરવા માટે કોરોનાને કારણ જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં આ ૨૦૨૦થી ભારત-ચીન સીમા તણાવને કારણે ચીનની રણનીતિ લાગે છે. Is China Violating Agreements by Blocking Kailash Mansarovar Yatra for Indians?

કૈલાસ માનસરોવર યાત્રાને લઇને વિદેશ મંત્રાલય પાસેથી આરટીઆઇ દ્વારા માહિતી મેળવી છે. તેમાં૨૦૧૩ અને ૨૦૧૪માં ચીન સાથે થયેલા કરારોની નકલો પણ મળી આવી હતી. આ કરારોમાં સ્પષ્ટ છે કે ચીન નોટિસ આપ્યા વિના એકતરફી રીતે આ કરારોને સમાપ્ત કરી શકે નહી. કોઇપણ પરિવર્તન માટે બંને દેશોની સહમતિ જરૂરી છે.

પહેલો કરાર ઃ ૨૦૧૩માં તત્કાલિન વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ અને ચીનના વિદેશમંત્રી વાંગ યીએ હસ્તાક્ષર કર્યા હતા. જેમાં લિપુલેખ પાસથી યાત્રાનો માર્ગ ખોલવામાં આવ્યો હતો. પ્રથમ કરાર મુજબ, તે ૨૦૧૩ થી પાંચ વર્ષ માટે માન્ય હતો અને જયાં સુધી કોઇપણ પક્ષ છ મીહના અગાઉ લેખિત સૂચના આપે નહીં ત્યાં સુધી તે દર પાંચ વર્ષ આપમેળે લંબાવવામાં આવશે. કરાર જણાવે છે કે બંને પક્ષો તેમની સંમતિથી ફેરફાર કરી શકે છે.

બીજો કરાર ઃ ૨૦૧૪માં તત્કાલિન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને વાંગ યી વચ્ચે નાથુ લા પાસથી યાત્રા શરૂ કરવા માટે કરાર થયો હતો. બીજા કરારમાં પણ કંઇક આવું જ હતું. કરાર જણાવે છે કે મોટી સંખ્યામાં ભારતીય તીર્થયાત્રીઓ ટૂર ઓપરેટરો દ્વારા કૈલાસ માનસરોવરની મુલાકાત લે છે. ચીને આ યાત્રાળુઓને જરૂરી સુવિધાઓ આપવા સંમતિ આપી હતી. બીજા કરારમાં જણાવાયું હતું કે ભારતીય તીર્થયાત્રીઓ નાથુ લા પાસ દ્વારા ચીનમાં પ્રવેશ કરી શકશે અથવા બહાર નીકળી શકશે.

તેની પ્રક્રિયા રાજદ્વારી માધ્યમો દ્વારા નક્કી કરવામાં આવી હતી. ત્રીજો વિકલ્પ નેપાળ થઇને ખાનગી ઓપરેટરો દ્વારા ચીન જવાનો હતો. તમામ કિસ્સામાં ભારતીયોને ચીનના વિઝાની જરૂર હતી. ચીને ગયા વર્ષ નેપાળ દ્વારા તેની સરહદો ખોલી હતી. પરંતુ ભારતીયો માટે નિયમો એકદમ કડક બનાવવામાં આવ્યા હતા. ફી વધારવા સહિત અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા, જેના કારણે ભારતીયો માટે કૈલાસ યાત્રા પર જવું લગભગ અશકય બની ગયું હતું.

આ વર્ષ જાન્યુઆરીમાં નેપાળના નેપાળગંજથી માત્ર ૩૮ ભારતીયોએ ચાર્ટર્ડ પ્લેનમાં કૈલાસ માનસરોવરના હવાઇ દર્શન કર્યા હતા. ભારતે ઉત્તરાખંડના ધારચુલામાં લિપુલેખ શિખર પર એક સ્થળ વિકસાવ્યું છે, જયાંથી કૈલાસ પર્વત સ્પષ્ટપણે દેખાશે.

ઉત્તરાખંડ સરકારે જાહેરાત કરી છે કે ૧૫ સપ્ટેમ્બરથી યાત્રાળુઓ અહીંથી કૈલાસ પર્વતના દર્શન કરી શકશે.ઉત્તરાખંડ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે ૫ વર્ષથી કૈલાસ માનસરોવર યાત્રા બંધ હોવાને કારણે શિવભકતો કૈલાસ પર્વતનના દર્શન કરી શકયા નથી. તેથી સરકારે નિર્ણય લીધો છે કે તે તેમને જૂના લિપુલેખથી કૈલાસના દર્શન કરાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.