Western Times News

Gujarati News

અમેરિકામાં ૧૦ દિવસમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલાથી સનસનાટી

કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ ધર્મના ધર્મસ્થાન પર હુમલો થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં બીજી વખત હિન્દુ ધાર્મિક સ્થળ પર આ રીતે હુમલો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ દરમિયાન સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુવિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા.

કેટલાક તત્વોએ ‘હિન્દુઝ ગો બેક’ના સૂત્રો લખ્યા હતા. આ ઘટના કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બની હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામીનારાયણ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી. હાલમાં અમેરિકામાં હિન્દુમિશિયા વધી રહ્યો છે. હિન્દુમિશિયા એ અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુઓ પ્રત્યે નફરતને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. આને હિન્દુફોબિયા પણ કહી શકાય.

જો કે, બંને વચ્ચેનો તફાવત એ છે કે હિન્દુફોબિયા શબ્દમાં ડરનો સમાવેશ થાય છે જ્યારે હિન્દુમિશિયા હિન્દુઓ પ્રત્યે તિરસ્કાર-અણગમાનો ભાવ દર્શાવે છે. આ હુમલાની માહિતી સ્વામીનારાયણ મંદિર તરફથી એક્સ પર આપવામાં આવી છે.

મંદિર તરફથી લખવામાં આવ્યું હતું કે, ‘ન્યૂયોર્કમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલા બાદ ૧૦ દિવસમાં આ બીજો હુમલો છે. જેમાં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. આ દરમિયાન હિન્દુઓને પાછા જાવના સૂત્રો લખવામાં આવ્યા હતા. અમે આ નફરત સામે સંગઠિત છીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.

સેક્રામેન્ટોની સ્થાનિક સંસ્થાએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. પ્રશાસનનું કહેવું છે કે મંદિરમાં માત્ર તોડફોડ જ નથી કરવામાં આવી પરંતુ ત્યાંની પાઇપલાઇન પણ સમાજ વિરોધીઓએ કાપી નાખી છે. આ તોડફોડ બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા.

આ લોકોમાં સ્થાનિક સરકારી અધિકારીઓ અને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સભ્ય સ્ટીફન નગુયેન પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૬ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો થયો હતો. ત્યારે પણ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.