Western Times News

Gujarati News

મોબાઈલ અને કમ્પ્યૂટરનો વધુ પડતો ઉપયોગ ઊંઘની સમસ્યા પેદા કરી શકે છે

શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે સારી ઉંઘ લેવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે આ મહત્વપૂર્ણ છે. ડોકટરોનું કહેવું છે કે જે લોકો પૂરતી ઉંઘ નથી લેતા તેઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ખતરો રહે છે. ઉંઘ ન આવવાની સમસ્યાના ઘણા કારણો હોઈ શકે છે. માનસિક તાણ અથવા ચિંતાઓ ઘણીવાર મનને એટલી સક્રિય બનાવી દે છે કે વ્યક્તિ આરામથી ઉંઘી શકતી નથી. આ સિવાય જે લોકો ચા, કોફી, સિગારેટ અને અન્ય કેફીનયુકત પદાર્થોનું સેવન કરે છે તેઓ પણ ઉંઘની સમસ્યાથી પીડાઈ શકે છે.

અભ્યાસો દર્શાવે છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હદયના રોગો અને માનસિક બીમારી જેવા અમુક પ્રકારના ક્રોનિક રોગો ધરાવતા લોકોની ઉંઘમાં પણ ઘણી વખત વિક્ષેપ પડે છે.અનિંદ્રાની સમસ્યા ઃ અનિંદ્રા એ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને ઉંઘવામાં તકલીફ પડે છે અથવા રાત્રે વારંવાર જાગે છે. ઉંઘનો અભાવ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ (જેમ કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, માનસિક વિકાર અને અન્ય ક્રોનિક રોગો)માટે લાંબા ગાળાના પરિણામો લાવી શકે છે.

હેલ્થ એકસપર્ટનું કહેવું છે કે ઉંઘની વધતી સમસ્યાઓનું કારણ મોબાઈલ કે કમ્પ્યૂટર જેવી સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ પણ હોઈ શકે છે. આ ઉપકરણોમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઉંઘ માટે જરૂરી મેલાટોનિન હોર્મોનના ઉત્પાદનને અટકાવે છે.

સ્માર્ટફોન અને સ્ક્રીનથી દૂર રહો ઃ સુવાના ૧-ર કલાક પહેલા સ્માર્ટફોન, કમ્પ્યૂટર અથવા ટેલિવિઝનનો ઉપયોગ કરશો નહી. આ ઉપકરણોમાંથી વાદળી પ્રકાશ મેલાટોનિન હાર્મોનના સ્તરને અસર કરે છે, જેના કારણે ઉંઘમાં મુશ્કેલી થાય છે. મેલાટોનિન એ કુદરતી હોર્મોન છે જે ઉંઘને નિયંત્રિત કરે છે. અનિંદ્રાથી પીડિત લોકો ડોકટરની સલાહ લીધા પછી આ સપ્લિમેન્ટ લઈ શકે છે. જો ઉંઘની સમસ્યા ડિપ્રેશન અથવા ચિંતા જેવી કોઈ માનસિક વિકૃતિને કારણે હોય તો મનોચિકિત્સકની સલાહ લો.

સૂવાનો સમય નિશ્ચિત રાખો ઃ દરરોજ એક જ સમયે સૂવાની અને જાગવાની ટેવ પાળો. આના કારણે શરીરની બાયોલોજિકલ કલોક નિયમિત બને છે, જે ઉંઘની ગુણવત્તામાં સુધારો કરે છે. આ સિવાય રૂમને સ્લીપ ફ્રેન્ડલી બનાવો. ઓરડો શાંત, અંધારાવાળો અને ઠંડો હોવો જોઈએ. અનુકુળ વાતાવરણમાં વ્યક્તિને સારી ઉંઘ આવે છે. શારીરિક કસરત કરો ઃ નિયમિત શારીરિક કસરત યોગ ઉંઘની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ છે. વ્યાયામ કરવાથી શરીરમાં થાક લાગે છે, જેનાથી ઉંઘ આવવામાં સરળતા રહે છે. ધ્યાન રાખો કે સૂતા પહેલા કસરત ન કરો, કારણ કે તેનાથી શારીરિક ઉત્તેજના વધી શકે છે. સૂતા પહેલા ધ્ય્ન, ઉંડા શ્વાસ લેવાની તકનીકો અને સ્નાયુઓમાં આરામ કરવાની કસરતો તણાવ ઘટાડે છે અને ઉંઘમાં સુધારો કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.