ગણપત યુનિ. દ્વારા બિઝનેસ ટેકનોલોજી અને સસ્ટેઈનેબીલિટી વિષયે બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન

અનેક દેશોના અભ્યાસુ સંશોધકો અને નિષ્ણાતો સહભાગી બન્યા : 60 જેટલાં રિસર્ચ પેપર્સ રજૂ થયા
ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા એક કોન્ફરન્સ સીરીઝ ચાલે છે – ” કોન્ફરન્સ ઓન ઇમરજિંગ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ “, તેના અનુસંધાનમાં આ વર્ષે પણ બિઝનેસ ટેકનોલોજી and સસ્ટેઈનેબીલિટી વિષય ઉપર બે દિવસીય ઇન્ટરનેશનલ હાઇબ્રીડ કોન્ફરન્સનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું –
ઇન્ટરનેશનલ કોન્ફરન્સ GCeMP – 2K25. ” આ કોન્ફરન્સમાં વિદ્વાન અભ્યાસુ સંશોધકો અને સુપ્રસિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતોએ સહભાગી બની કોન્ફરન્સને સફળ જ નહીં પૂરી સાર્થક બનાવી હતી, આ મહાનુભાવો વિશ્વના અનેક દેશોનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ કોન્ફરન્સ તેના ઉદ્ઘાટન સમારોહથી, વિચાર સમૃધ્ધ કી-નોટ સંબોધનોથી પ્લેનરી સેશન્સથી, રિસર્ચ વર્કશોપથી અને સૌથી વધુ તો ૬૦ જેટલાં વિવિધ વિષયો ઉપરના સંશોધન પત્રોની રજૂઆતથી ઘણી જ્ઞાન સમૃદ્ધ બની રહી હતી.
કોન્ફરન્સનો પ્રારંભ તેના ભવ્ય ઉદ્ઘાટનથી થયો હતો જેમાં ગણપત યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડો. શ્રી હિરેન. જે. પટેલે સહભાગીઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું તો યુનિવર્સિટીના ગ્રુપ ચાન્સેલર પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્માએ આ અવસરના આયોજનની યથાર્થતા સમજાવી હતી. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને પેટ્રન-ઈન-ચિફ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદાએ પણ સંસ્થાની શૈક્ષિક શ્રેષ્ઠતા માટેની પ્રતિબધ્ધતા અને વૈશ્વિક સહયોગની વાત કરી હતી.
આ અવસર અનેક દ્રષ્ટિવંત આંતરરાષ્ટ્રીય વિદ્વાનોના ચાવીરૂપ વક્તવ્યોથી દીપી ઉઠ્યો હતો જેમાં થાઈલેન્ડના એશિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના એકેડેમિક અફેર્સના એકટીંગ વાઇસ ચાન્સેલર પ્રો. નીતિનકુમાર ત્રિપાઠીએ એકેડેમિક ઇનોવેશનના વિવિધ પાસાઓ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અબુધાબી યુનિવર્સિટી, દુબઇ – યુ. એ. ઈ. ની કોલેજ ઑફ બિઝનેસના ઇન્ટરનેશનલાઈઝેશન
અને પાર્ટનરશીપ ડિપાર્ટમેન્ટના હેડ તેમજ માર્કેટિંગના એસોસિયેટ પ્રો.ડો. શ્રી કિરણ નાયરે ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટ્રેટેઝીસ ઉપર પ્રકાશ પાડ્યો હતો. લેટવિયા, યુરોપિયન યુનિયનની રિગા ટેકનિકલ યુનિવર્સિટીની રિગા બિઝનેસ સ્કૂલના એકેડેમિક અફેર્સના ડાયરેક્ટર શ્રી ક્લાઉડીઓ.એ. રિવેરાએ એડવાન્સમેન્ટ ઈન બિઝનેસ એજ્યુકેશન ઉપર વિગતે ચર્ચા કરી હતી, તો ફિલિપાઇન્સની સાઉથવિલે ઇન્ટરનેશનલ સ્કૂલ એન્ડ કોલેજીસની કોલેજ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડૉ. શ્રી એરીસ ઇગ્નાસીઓએ ડેવલપમેન્ટ્સ ઇન ટેકનોલોજી ડ્રિવન એજ્યુકેશન ઉપર વિષદ છણાવટ કરી હતી.
આ ઉપરાંત પણ કોન્ફરન્સમાં ત્રણ જેટલી પ્લેનરી ટોક્સનું આયોજન થયું હતું જેમાં અબુધાબી યુનિવર્સિટીના ડો. શ્રી કિરણ નાયર, યુનિવર્સિટી ઓફ વિસ્કોનસીન, ગ્રીન બે, અમેરિકાના ડો. સંપથ કુમાર અને ગોવા ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટના પ્રો. નીરજ અમરનાની દ્વારા ઇમર્જિંગ મેનેજમેન્ટ ટ્રેન્ડ્સ, ફિન ટેક ઇનોવેશન્સ,તેમજ સસ્ટેઈનેબલ બિઝનેસ પ્રેક્ટિસીસ જેવા વિષયો ઉપરના પોતાના જ્ઞાનનો લાભ કોન્ફેરેન્સના સૌ સહભાગીઓને આપ્યો હતો.
આ બે દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સની સૌથી મોટી સફળતા અને વિશેષતા એ રહી હતી કે આ અવસરે 60 જેટલાં ફૂલ રિસર્ચ પેપરની રજૂઆત પણ થઈ…! આ પેપર્સમાં તેના વિદ્વાન અભ્યાસુઓએ મેનેજમેન્ટ, ફાઈનાન્સ, માર્કેટિંગ, સસ્ટેઈનેબીલિટીબિલિટી જેવા વિવિધ વિષયોને આવરી લીધા હતા. આ કોન્ફરન્સની વધુ એક વિશેષતા એ પણ રહી કે આમાં ” ધી કોન્ફરન્સ રિસર્ચ વર્કશોપ “નું પણ આયોજન થયું હતું જેનું સંચાલન આઈ. આઈ. એમ. કોઝિકોડે, ઇન્ડિયાના ડોક્ટર શ્રીજેશ એસ. દ્વારા કરવામાં આવ્યું હતું જેનું અભ્યાસુ સંશોધકોમાં ભારે આકર્ષણ પણ ઊભું થયું હતું.
કોન્ફરન્સના અંતે પ્રાઇઝ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંશોધનના ક્ષેત્રે ઉચ્ચકક્ષાનું પ્રદાન કરનાર પ્રતિભાવોના આદર-સન્માન કરવામાં આવ્યા હતા.
ગણપત યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ દ્વારા આ કોન્ફરન્સને સફળ અને સાર્થક બનાવનારા સૌ સહભાગીઓ, નિષ્ણાત વિદ્વાનો અને સન્માનનીય મહેમાનો માટે આદર અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.