સામાજિક સુરક્ષા માટે યુનિવર્સલ પેન્શન સ્કીમની વિચારણા

નવી દિલ્હી, ભારત સરકાર રાષ્ટ્રવ્યાપી સ્વૈચ્છિક પેન્શન યોજના અમલમાં મૂકી શકાય કે કેમ તે દિશામાં વિચારણા કરી રહી છે, આ એવી પેન્શન યોજના હશે જેના દ્વારા દેશના તમામ નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડી શકાશે.
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયમાં તાજેતરમાં હાથ ધરાયેલી એક ચર્ચા-વિચારણામાં આ સર્વગ્રાહી પેન્શન પ્રોગ્રામ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી એમ કેન્દ્ર સરકારના એક અધિકારીએ કહ્યું હતું.આ અધિકારીએ એવો પણ સંકેત આપ્યો હતો કે હાલ એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હેઠળ આ યોજનાનું મૂળભૂત માળખું તૈયાર થઇ રહ્યું છે.
આ યોજના દાખલ કરવા પાછળ બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વેપારીઓ, સ્વ-રોજગાર મેળવતા લોકો અને ૬૦ વર્ષ બાદ પેન્શન મેળવવા ઇચ્છતા ૧૮ વર્ષ કે તેથી મોટી ઉંમરના નાગરિકોને લાભ પૂરો પાડવાનો આશય રહેલો છે એમ અધિકારીએ કહ્યું હતું.
આ યોજના સ્વૈચ્છિક હશે અને તેમાં વ્યક્તિએ પોતાનું પણ યોગદાન આપવાનું રહેશે, પરંતુ આ યોજનાને કોઇપણ નોકરી કે રોજગાર સાથે સાંકળવામાં આવશે નહીં એટલે કે આ યોજના સંપૂર્ણ રીતે એવા લોકો માટે ઓપન યોજના બની રહેશે જેઓ પોતાનું યોગદાન આપીને પેન્શન મેળવવા ઇચ્છતા હશે.
વાસ્તવમાં કેન્દ્ર સરકાર હાલની પીએમ-એસવાયએમ અને એનપીએસ-ટ્રેડર્સ યોજનાઓ સહિતની તમામ પેન્શન યોજનાઓ આ સૂચિત સર્વગ્રાહી પેન્શન યોજનામાં ભેળવી દેવાની દિશામાં વિચારી રહી છે.
આ વૈકલ્પિક યોજના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને માસિક ૩૦૦૦નું પેન્શન ચૂકવવામાં આવશે, પરંતુ પેન્શનની આ રકમ તેઓના યોગદાન ઉપર આધારિત રહેશે.
કોઇપણ નાગરિક આ યોજનામાં માસિક રૂ.૫૫થી માંડીને રૂ.૨૦૦ સુધીનું યોગદાન આપી શકશે.હાલ આ યોજના તૈયાર થઇ રહી છે અને આ તબક્કા બાદ મંત્રાલય આ યોજનાના તમામ નિતિ-નિયમોને આખરી ઓપ આપવા સંબંધિત પક્ષકારો સાથે વિચાર-વિમર્શ કરશે. આ પ્રકારની પહેલ શરૂ કરવા પાછળ કેન્દ્ર સરકારનો આશય દેશના તમામ નાગરિકોને સુરક્ષા કવચ પૂરું પાડવાનો છે અને સાથે સાથે હાલ કેન્દ્ર સરકારની અમલી તમામ યોજનાઓનું આકર્ષણ વધારવા તમામ યોજનાઓને સાંકળી લેવાનો પણ આશય રહેલો છે.SS1MS