વડોદરાના ૩૧૪ ધાર્મિક દબાણો તોડી પાડવા પાલિકા દ્વારા કવાયત શરૂ કરાઇ

વડોદરા, વડોદરા શહેરમાં ૩૧૪ સ્થળે ધાર્મિક દબાણો થયેલા છે. આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તે માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર પાલિકા દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
અત્યાર સુધીમાં આઠ મિટિંગો યોજાઇ ચુકી છે અને ગુરૂવારે તમામ ધર્મના વડાઓ અને ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે પાલિકાના કેતન જોષી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. વડોદરા શહેરના નોર્થ ઝોનમાં સૌથી વધુ ૧૨૮ દબાણો આવેલા છે.
આ દબાણો પૈકી કેટલાક માલિકીના છે, કેટલાક પાલિકાની જગ્યામાં છે અને કેટલાક ખાનગી જગ્યામાં છે. જેથી આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પાલિકાની જગ્યામાં છે તેને ખસેડી માલિકીની જગ્યામાં સ્થાપિત કરવામાં આવે, જે માલિકીની જગ્યામાં છે પરંતુ નડતરરૂપ છે તેને પણ અન્ય સ્થળે રિલોકેટ કરવામાં આવે તેમજ જે ગેરકાયદે છે તે કોઇ માલિકીના સ્થળે ખસેડવામાં આવે તો નગર દબાણમુક્ત થાય અને આ ધાર્મિક સ્થળો સાથે જેમની આસ્થા સંકળાયેલી છે તેમને પણ સાચવી શકાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.
ગુરૂવારે યોજાયેલી બેઠકમાં પણ તમામ ધર્મના લોકો સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જે પૈકી ૭૮ દબાણો રિલોકેટ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું પાલિકાના ડેપ્યુટી કમિશ્નર કેતન જોષીએ મિડિયાને જણાવ્યું હતું. બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.SS1MS