શું સંતોષી માતાના મંદિરના પૂજારીના આપઘાત પાછળ બિલ્ડરનો હાથ છે?

કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરના પૂજારીએ જીવન ટૂંકાવ્યું
(એજન્સી)અમદાવાદ, શહેરના કુબેરનગરમાં આવેલા સંતોષી માતાના મંદિરના પૂજારી મહેન્દ્રભાઈ મિણેકરે જીવન ટૂંકાવ્યું છે. મંદિરના પૂજારીના પુત્રએ આ મામલે મોટો દાવો કર્યો છે કે, બિલ્ડરના ત્રાસને કારણે પિતાએ જીવન ટૂંકાવી લીધું છે.
શહેરના કુબેરનગરમાં સંતોષી માતાના મંદિરને તોડવા માટે નોટિસો મળતી હતી. મહંતના પુત્રએ એવું પણ જણાવ્યું છે કે, મંદિરને તૂટતું બચાવવા અને દબાણને કારણે પિતાએ આપઘાત કર્યો છે. આ બનાવ બાદ પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચીને લઘુ કાર્યવાહી કરી છે.
પૂજારીના આપઘાત કેસમાં પોલીસે જણાવ્યું છે કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી એએમસી ઘણી વખત બંદોબસ્ત માંગતું હતું. પોલીસનો રોલ માત્ર લો એન્ડ ઓર્ડર જળવાય એટલો જ હોય છે. એએમસી બંદોબસ્ત માંગે એટલે પોલીસ બંદોબસ્ત આપે છે. કોઈને ડરાવવા અને ધમકાવવાનો પોલીસનો ઉદ્દેશ્ય નથી હોતો. આક્ષેપો કરવામાં આવ્યા છે એ સાચા છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે.
આ અંગે પૂજારીના પુત્ર બ્રિજેશે આ અંગે જણાવ્યું છે કે, “અમારે બિલ્ડરનો દબાવ હતો. છેલ્લા ચાર વર્ષથી અમને પોલીસ તંત્ર, કોર્પોરેશન અમને હેરાન કરી રહ્યા છે. જેના કારણે મારા પિતાએ અંતિમ ચિઠ્ઠી લખીને જીવન ટૂંકાવી લીધું છે. તો બીજી બાજુ મૃતક પૂજારીએ પોતાનું જીવન ટૂંકાવ્યા પહેલા ત્રણ પાનની અંતિમ ચિઠ્ઠી લખી હતી.
જેમાં તેમણે જણાવ્યું છે કે, મારા મંદિરની અધૂરી લડાઈ મારા પુત્ર બ્રિજેશને શિરે ઘરી જાઉં છું. મારા દીકરા મારી અધૂરી લડાઈ લડજે. આ જન્મભૂમિને બચાવવા તું ધર્મની લડાઈ લડજે. આ પાવનભૂમિ મારા માતાપિતા એટલે તારા દાદા-દાદીની ભક્તિની ગંગાની પાવન ભૂમિ છે. આ અમારી જ માલિકીની છે.