LG હોસ્પિટલમાં આજે પણ વીજળી જાય તો દર્દીઓને મોબાઈલમાં ટોર્ચ ચાલુ કરવાની ફરજ પડે છે

એલ.જી. હોસ્પિટલમાં ઓટોમેટિક જનરેટર સિસ્ટમનો અભાવ-ડિઝિટલ યુગમાં પણ લાઈટ જેવા મુદ્દે દર્દીઓની જિંદગી સાથે થઈ રહેલ ચેડા: કોંગ્રેસ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની એલ.જી. હોસ્પિટલમાં પર બપોરે લાઈટ જતી રહી હોવાના કારણે દર્દીઓને હાલાકી પડી હતી. હોસ્પિટલમાં જનરેટર પણ કાર્યરત થયા નહોતા, જેને લઈને આજે સોમવારે વિપક્ષ કોંગ્રેસ ઘ્વારા એલ.જી. હોસ્પિટલ ખાતે મુલાકાત લેવામાં આવી હતી.
તેમજ ડીઝીટલ યુગમાં પણ લાઈટ ના કારણે દર્દીઓ ના જીવન સાથે થઈ રહેલા ચેડા મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા.
મ્યુનિસિપલ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે એલ.જી. હોસ્પિટલમાં જનરેટર સીસ્ટમ મેનપાવરથી ચાલુ કરવામાં આવે છે. આજના આધુનિક સમયમાં નાની હોસ્પિટલોમાં ઓટોમેટીક જનરેટર સીસ્ટમ હોય છે. જ્યારે પણ વીજળી ગૂલ થાય છે કે, તરત જ ઓટોમેટીક જનરેટર એકટીવ (ચાલુ) થઇ જાય છે. એલ.જી. હોસ્પિટલમાં ઓટોમેટીક જનરેટર સીસ્ટમ ન હોવાથી વીજળી ગૂલ થઇ જાય છે અને દર્દીઓને મોબાઇલ ફોન પર ટોર્ચ ચાલુ કરવાની ફરજ પડે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલમાં ઓટોમેટીક જનરેટર સિસ્ટમ લગાવવામાં આવે અને તમામ હોસ્પિટલમાં સોલર પેનલ લગાવવામાં આવે એવું જણાવ્યું હતું. વધુમાં એલ.જી. હોસ્પિટલમાં દર્દીઓને બેસવાની પૂરતી વ્યવસ્થા પણ નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન નું નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ નું ૧૫૦૦૦ કરોડનું બજેટ હોવા છતાં કોર્પોરેશન દ્વારા સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં આશરે ૨૦ મિનિટ સુધી પાવર સપ્લાય બંધ થઇ જતાં હજારો દર્દીઓનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો.
કેટલાક દર્દીઓના સંબંધીઓને મોબાઇલ ફોન પર ટોર્ચ ચાલુ કરી હતી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંચાલીત એસ.વી.પી. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ તેમજ હોસ્ટેલ મળીને વાર્ષિક કુલ રૂ.૧૮.૮૮ કરોડનું બીલ ઇલેકટ્રીક ટોરેન્ટ પાવરને ચુકવવામાં આવે છે છતા એલ.જી. હોસ્પીટલમાં વિજળી ગુલ થઇ જાય છે જે ખુબ જ શરમજનક બાબત છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.