બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે જરૂરી: શંકર ચૌધરી

ગુજરાત વિધાનસભા ખાતે ચાર દિવસીય એલોપેથિક-આર્યુવેદિક-હોમિયોપેથિ
તા. ૧૮ અને ૧૯ના રોજ એલોપેથિક અને તા. ૨૦ અને ૨૧ના રોજ આયુર્વેદિક અને હોમિયોપથી સંલગ્ન નિદાન કરાશે
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત હેલ્થ ચેકઅપ કેમ્પ-૨૦૨૫નો આજે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ શુભારંભ કરાવ્યો હતો.. આ પ્રસંગે આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યો પોતાના મતવિસ્તારના પ્રશ્નો અને જનકલ્યાણકારી કામો વચ્ચે પોતાના આરોગ્યની કાળજી કેટલાક સંજોગોમાં રાખી શકતા નથી તેવુ ઘણી વાર જોવા મળે છે. તેમજ પત્રકારો પણ પ્રજા સુધી વિધાનસભાની કામગીરી તેમજ અન્ય માહિતી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે તે પણ પોતાના આરોગ્યની કાળજી રાખી શકતા નથી. તેમના માટે આ હેલ્થ ચેકઅપ કેમ્પ અસરકારક સાબિત થશે.
વધુમાં અધ્યક્ષશ્રીએ ઉમેર્યું કે, બિમાર થયા પછી નહીં પરંતુ તેના પહેલા રોગની તપાસ થઈ જાય તે ખૂબ જરૂરી છે જે માટે ઓપીડી ચેકઅપ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા આ કૅમ્પમાં તપાસ કરવામાં આવશે.
આરોગ્યમંત્રીશ્રીનો આભાર માનતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, આયુર્વેદિક પદ્ધતિને ધ્યાને રાખીને પ્રકૃતિ પરીક્ષણનો પણ આ કૅમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે આ પહેલ સરાહનીય છે.
નાગરિકોને પોતાની પ્રકૃતિ ખ્યાલ આવે તો તેને આનુષંગિક ખોરાક તેઓ લઇ શકે તે માટે આ પરિક્ષણ જરુરી છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વિધાનસભાના ધારાસભ્યો અને પત્રકાર મિત્રોનું વિધાનસભા ખાતે હેલ્થ ચેક અપ થાય અને તેમની બિમારીનું તજજ્ઞ ડોક્ટરો દ્વારા સ્થળ પર જ ઉપચાર થઇ શકે તે માટે ચાર દિવસીય કૅમ્પનુ આયોજન કરાયું છે.
ધારાસભ્યો તેમજ સંસદ સભ્યો અને બીજા દિવસે વિધાનસભાના અધિકારી કર્મચારીઓ સાથોસાથ પત્રકારોનો હેલ્થ ચેક અપ કરવામાં આવશે. આ હેલ્થ ચેક અપમાં આયુર્વેદિક તેમજ એલોપેથિક તજજ્ઞો દ્વારા શરીરના લગતા રોગો માટે સલાહ સૂચન અને ઉપચાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.
વિધાનસભા ખાતે તા.૧૮ માર્ચ થી તા.૨૧ માર્ચ સુધી યોજાયેલ ચાર દિવસીય મેડિકલ ચેકઅપમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ કરાશે. જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તે માટે GMERS, મેડિકલ કૉલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે.
તદ્ઉપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ માંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર છે.
આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત છે.
આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ મેડિકલ ચેકઅપમાં તા.૧૮ માર્ચના રોજ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ માટે અને તા.૧૯ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીઓ-ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે એલોપેથીક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે.
તેવી જ રીતે તા.૨૦ માર્ચના રોજ મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ માટે અને તા.૨૧ માર્ચના રોજ બાકી રહેલા મંત્રીશ્રીઓ-ધારાસભ્યશ્રીઓ, વિધાનસભાના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ અને પત્રકારશ્રીઓ માટે આર્યુવેદિક-હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાશે.