સંતાનો પૂરતી કાળજી ન લે તો માતાપિતા ગિફ્ટ ડીડ રદ કરી શકે છેઃ મદ્રાસ હાઇકોર્ટ

નવી દિલ્હી, મદ્રાસ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે જો સંતાનો અથવા નજીકના સંબંધીઓ તેમના વડીલોની યોગ્ય કાળજી ન રાખે તો વરિષ્ઠ નાગરિકો બાળકોના નામે કરવામાં આવેલા ગિફ્ટ ડીડને રદ કરી શકે છે.
ગિફ્ટ ડીડમાં માતાપિતાની કાળજી રાખવાની શરત ન રાખવામાં આવી હોય તો પણ તેઓ ભેટમાં આપેલી મિલકતને પરત લઈ શકે છે.
ન્યાયાધીશ એસ એમ સુબ્રમણ્યમ અને કે રાજશેખરની બનેલી ડિવિઝન બેન્ચે મૃતક એસ નાગલક્ષ્મીની પુત્રવધૂ એસ માલાએ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી હતી.
નાગલક્ષ્મીએ તેમના પુત્ર કેશવનની તરફેણમાં સેટલમેન્ટ ડીડ કરીને મિલકત ટ્રાન્સફર કરી હતી. તેમને આશા હતી કે પુત્ર અને પુત્રવધૂ જીવનભર તેમની સંભાળ રાખશે, પરંતુ તેઓ પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યાં હતાં પુત્રના મૃત્યુ પછી તેમની પુત્રવધૂએ તેમની અવગણના કરી હતી. તેથી નાગલક્ષ્મીએ નાગપટ્ટનમના આરડીઓનો સંપર્ક કર્યાે હતો. આરડીઓએ કરાર રદ કર્યાે હતો.
તેથી માલાએ આરડીઓના નિર્ણયને કોર્ટમાં પડકાર્યાે હતો.ખંડપીઠે જણાવ્યું હતું કે માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરપોષણ અને કલ્યાણ ધારો ૨૦૦૭ની કલમ ૨૩(૧) વરિષ્ઠ નાગરિકોને એવા સંજોગોમાં સુરક્ષા આપે છે કે જેમાં વડીલો તેમની મિલકત ભેટ અથવા કરાર દ્વારા ટ્રાન્સફર કરે છે અને એવી રાખે છે કે મિલકત લેનારા તેમની મૂળભૂત સુવિધાઓની કાળજી રાખશે.
જો મિલકત લેનારા આ જવાબદારીઓમાં નિષ્ફળ થાય તો સિનિયર સિટિઝનો ટ્રાન્સફરને રદ કરવા માટે ટ્રિબ્યુનલમાં લઈ શકે છે. આ કાયદો સ્વીકારે છે કે વરિષ્ઠ નાગરિકો મોટાભાગે પ્રેમ અને સ્નેહને કારણે તેમના સંતાનો કે નજીકના સંબંધીને મિલકત ટ્રાન્સફર કરતાં હતા.
મિલકત ટ્રાન્સફર કરવાનો વરિષ્ઠ નાગરિકોને નિર્ણય માત્ર કાનૂની પગલું હોતું નથી, પરંતુ એક એવી આશા હોય તો વૃદ્ધાવસ્થામાં તેમની સંભાળ રાખવામાં આવશે. આ પ્રેમ અને સ્નેહ ટ્રાન્ઝેક્શનમાં ગર્ભિત શરત બની જાય છે, ભલે ટ્રાન્સફર દસ્તાવેજમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ ન કરાયો હોય.SS1MS