ગુજરાત વહીવટી સુધારણા પંચે CM ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો પ્રથમ ભલામણ અહેવાલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વહીવટી માળખા તથા કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારણાઓ કરવા અને માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા સાથે નવીન ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્યક્ષમતા વૃદ્ધિ માટે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને રચવામાં આવેલ ગુજરાત વહીવટી સુધારણા પંચે (GARC) તેનો પ્રથમ ભલામણ અહેવાલ મુખ્યમંત્રીશ્રીને ગાંધીનગર ખાતે સુપ્રત કર્યો હતો.
GARCએ પોતાના આ પ્રથમ અહેવાલમાં રાજ્ય સરકારને કરેલી ભલામણોમાં જે બાબતો આવરી લેવામાં આવી છે તેમાં સરકારી મિટિંગોની કાર્યક્ષમતા વધારવા અને વધુ પરિણામલક્ષી બનાવવા પરિપત્ર સ્વરૂપે ગાઈડલાઈન બહાર પાડવાની
ઉપરાંત રાજ્ય સરકારની કચેરીઓમાં પ્રવર્તમાન વહીવટી સમસ્યાઓ સંદર્ભે કર્મચારીઓ-અધિકારીઓના અનામી રીતે પ્રતિભાવો-ફિડબેક મેળવવા, ઈન્ફો-ટેક્ અને આઈડિયાઝ બોક્સની વ્યવસ્થા અને QR કોડ જેવી અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા સાથે ઓફિસમાં યોગ્ય જગ્યાએ પારદર્શી બોક્સ મુકવાની બાબતોનો સમાવેશ થાય છે.
સ્વચ્છ ભારત અભિયાનને વેગવાન બનાવવા કચેરીઓમાં સ્વચ્છતા અને વ્યવસ્થાની ઉચ્ચ સ્થિતિ જળવાઈ રહે તે માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવવા અને પ્રોફેશનલ એજન્સીની સેવાની ભલામણ પણ GARCના અહેવાલમાં કરાઈ છે.
આ ઉપરાંત, સામાન્ય જનતા અને નાગરિકો સરકારી કચેરીમાં સંબંધિત વિભાગ-અધિકારી સુધી સરળતાએ પહોંચી શકે તે માટે કચેરી દ્વારા પુરી પાડવામાં આવતી સેવા અંગેની સ્પષ્ટ વિગતો સાથે સ્ટાન્ડર્ડ સાઈનેજ બહુભાષી લખાણમાં રાખવાની ભલામણ આ અહેવાલમાં કરવામાં આવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ GARCના પંચની નવી વેબસાઈટ પણ લોન્ચ કરી હતી, જેમાં GARCએ રાજ્ય સરકારને કરેલી આ સહિતની ભલામણોનો પ્રથમ અહેવાલ પંચની વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, GARCએ એક નવતર અભિગમ અપનાવીને સામાન્ય નાગરિકો તથા કર્મચારીઓ પાસેથી પણ વહીવટી સુધારણા અંગે કમિશનની વેબસાઈટ પર સૂચનો મંગાવવાનો વ્યૂહ અપનાવ્યો છે.