2.57 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું શંખેશ્વરનું અદ્યતન બસ મથક

યાત્રાધામ શંખેશ્વરના શ્રધ્ધાળુઓનું અદ્યતન બસ મથકનું સપનું સાકાર થયું-
અમદાવાદ, વડોદરા, સુરત ખાતેથી સીધી શંખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે- પેસેન્જર વેઈટીંગ એરિયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્સલ રૂમ સહિતની સુવિધાઓ
ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુલ્લું મુક્યું: બસ મથકમાં ૭ પ્લેટફોર્મ બનાવાયા છે
પાટણ, પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજીત રૂ.ર.પ૭ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવીન બસ સ્ટેશનનું ગૃહ અને વાહન વ્યવહાર રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લુ મુકવામાં આવતાં શંખેશ્વરના શ્રધ્ધાળુઓના વર્ષો જૂના સપના સાકાર થયા છે.
શંખેશ્વરનું નવીન બસ સ્ટેશન ૪૪૬૦ ચો.મી. જમીન વિસ્તારમાં અંદાજીત કિંમત રૂ.ર.પ૭ કરોડ ખર્ચે નિર્માણ પામ્યું છે. આ બસસ્ટેશનમાં કુલ ૭ પ્લેટફોર્મ તેમજ પેસેન્જર વેઈટીંગ એરિયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, પાર્સલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.
નવીન બસસ્ટેશનનું લોકાર્પણ કરતા ગૃહ અને વાહનવ્યવહાર રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શંખેશ્વરમાં દાદાના ચરણોમાં વંદન કરીને આર્શિવાદ મેળવી અહીં એસ.ટી.બસનું લોકાર્પણ કરતા આનંદ અનુભવી રહ્યો છું. શંખેશ્વર તીર્થ ખાતે દેશભરમાંથી લાખો લોકો દર વર્ષે શંખેશ્વર દાદાની ભક્તિ માટે પધારતા હોય છે.
જયારે હું પહેલીવાર દાદાના દરબારમાં દર્શન માટે આવ્યો હતો ત્યારે ગામમાં આગેવાનોએ મને કહ્યું હતું કે, અહી યાત્રીઓ માટે બસ સ્ટેશન બનાવી આપો. ત્યારે વચન આપેલું કે ઝડપથી અહીં બસ સ્ટેશનના ખાતમુહુર્ત માટે શંખેશ્વર આવીશ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમજ પૂજય ગુરુ ભગવંતોની પ્રેરણાથી શંખેશ્વર ખાતે માત્ર દોઢ વર્ષ પહેલાં ખાતમુહુર્ત કર્યું. તે જ બસ સ્ટેશનનો લોકાર્પણ કરવાનો લાભ મળ્યો છે.
શંખેશ્વરનું આ બસ સ્ટેન્ડ હજારો યાત્રિકો માટે ઉપયોગી બની શકે તે માટે બધી જ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત ખાતેથી સીધી શંખેશ્વરની નવી બસોની શરૂઆત કરવામાં આવશે. જેના લીધે યાત્રિકો સરકારી દરે શંખેશ્વર સુધી પહોંચી શકવામાં સરળતા રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર રાજયના નાગરિકોની વધુમાં વધુ સેવા કરી શકે તે માટે દાદાના ચરણોમાં દર્શન કરીને પ્રાર્થના કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું. શંખેશ્વર નવીન બસ સ્ટેશનના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.