બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર: જીવન, કાર્ય અને વિરાસત

મધ્યપ્રદેશના મહૂ લશ્કરી છાવણીમાં દલિત મહાર જાતિમાં જન્મેલા બાબાસાહેબ આંબેડકરે એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક થયા બાદ, તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું.
આજે, ૧૪ એપ્રિલ ૨૦૨૫ના રોજ, સમગ્ર ભારત બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મજયંતી ઉજવી રહ્યું છે. ભારતીય બંધારણના મુખ્ય શિલ્પકાર અને સામાજિક ન્યાયના અગ્રણી હિમાયતી, ડૉ. આંબેડકરે ભારતના ઇતિહાસમાં અતુલનીય યોગદાન આપ્યું છે.
પ્રારંભિક જીવન અને શિક્ષણ-બાબા સાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ, ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહૂ લશ્કરી છાવણીમાં થયો હતો. તેઓ રામજી મલોજી સકપાલ અને ભીમાબાઈના ૧૪માં સંતાન હતા. દલિત મહાર જાતિમાં જન્મેલા, તેમને નાનપણથી જ ભારતીય સમાજમાં પ્રચલિત અસ્પૃશ્યતા અને જાતિ આધારિત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
તેમની અસાધારણ બુદ્ધિમત્તા અને અભ્યાસ પ્રત્યેની નિષ્ઠાએ તેમને શિક્ષણના ઉચ્ચ શિખરો સર કરવા સક્ષમ બનાવ્યા. એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક થયા બાદ, તેમણે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓ અર્થશાસ્ત્રમાં પીએચડી, બેરિસ્ટર-એટ-લૉ, ડી.એસસી. અને અન્ય કઈ ઉપાધિઓ ધરાવતા હતા, જે તેમને તેમના સમયના સૌથી શિક્ષિત ભારતીયોમાંના એક બનાવ્યા.
THIS MAN was built different. 10 reasons why you NEED to level up like Babasaheb!
From breaking barriers to shaping India’s future — his legacy isn’t just remembered, it’s LIVED.
Hit play and see the impact for yourself! #AmbedkarJayanti#Ambedkar pic.twitter.com/GwdoHD2E4X
— MyGovIndia (@mygovindia) April 14, 2025
સામાજિક આંદોલનો અને રાજકીય કારકિર્દી-ડૉ. આંબેડકરે તેમના જીવનનો મોટો ભાગ જાતિ વ્યવસ્થા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ લડવામાં વિતાવ્યો. તેમણે દલિતોને માનવીય અધિકારો અને સન્માન અપાવવા માટે કઈ મહત્વપૂર્ણ આંદોલનો શરૂ કર્યા:
મહાડ સત્યાગ્રહ (૧૯૨૭): અસ્પૃશ્યોને સાર્વજનિક પાણીના સ્ત્રોતોનો ઉપયોગ કરવાના અધિકારની માંગ કરતું ઐતિહાસિક આંદોલન.
કાળારામ મંદિર પ્રવેશ સત્યાગ્રહ (૧૯૩૦): દલિતોને મંદિરોમાં પ્રવેશના અધિકાર માટેનો સંઘર્ષ.
સ્વતંત્ર મજૂર પક્ષ (૧૯૩૬): મજૂરોના અધિકારો માટેની રાજકીય પાર્ટી.
શિડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન (૧૯૪૨): દલિતોના રાજકીય અધિકારો માટેની પહેલ.
બંધારણના શિલ્પકાર
ડૉ. આંબેડકરે ભારતીય બંધારણ ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી. ૧૯૪૬માં, તેઓ બંધારણ સભાના સભ્ય બન્યા અને ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે એક એવું બંધારણ અપનાવ્યું જે સામાજિક ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના સિદ્ધાંતો પર આધારિત હતું.
ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે, તેમણે હિંદુ કોડ બિલ જેવા મહત્વપૂર્ણ કાયદા સુધારાઓ શરૂ કર્યા, જેનો ઉદ્દેશ્ય સ્ત્રીઓના અધિકારોને મજબૂત બનાવવાનો અને હિંદુ કાયદામાં સમાનતા લાવવાનો હતો.
બૌદ્ધ ધર્મનું પરિવર્તન અને છેલ્લા વર્ષો
૧૪ ઓક્ટોબર, ૧૯૫૬ના રોજ, ડૉ. આંબેડકરે તેમના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. તેમણે જણાવ્યું કે બૌદ્ધ ધર્મ સમાનતા અને તર્કવાદના સિદ્ધાંતો પર આધારિત છે, જે જાતિ વ્યવસ્થામાંથી મુક્તિનો માર્ગ પૂરો પાડે છે. ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ, ૬૫ વર્ષની વયે, ડૉ. આંબેડકરે અંતિમ શ્વાસ લીધા, પરંતુ તેમના વિચારો અને વિરાસત આજે પણ જીવંત છે.
ડૉ. આંબેડકર ભારતીય ઇતિહાસમાં એક મહાન વ્યક્તિત્વ હતા – એક પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક અને રાજકીય નેતા. ભારતીય બંધારણના મુખ્ય શિલ્પકાર તરીકે, તેમણે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સેવા આપી અને પછીથી તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુના મંત્રીમંડળમાં પ્રથમ કાયદા અને ન્યાય મંત્રી તરીકે સેવા આપી.
ડૉ. આંબેડકરની વિરાસતને સન્માન આપવા માટે ઉપસ્થિત રહેલા લોકોમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ સહિતના ગણ્યમાન્ય નેતાઓ હતા.
બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની વિચારધારા અને સિદ્ધાંતો આજે પણ પ્રાસંગિક છે. તેમના યોગદાન અને બલિદાનો એક સમતાવાદી અને ન્યાયપૂર્ણ સમાજના નિર્માણમાં અમૂલ્ય સાબિત થયા છે. આજે તેમની જન્મજયંતી પર, આપણે તેમના આદર્શોને ફરીથી દૃઢ કરીએ અને સમાનતા, બંધુત્વ અને સામાજિક ન્યાયના સિદ્ધાંતો પર આધારિત સમાજના નિર્માણ માટે કાર્ય કરીએ.