‘ડ્રીમ ગર્લ ૨’માં અનન્યાએ રીપ્લેસ કરતાં નુશરતને દુઃખ થયુ હતું

મુંબઈ, નુશરત ભરુચાએ ૨૦૦૬થી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર શરૂ કરી હતી. છેલ્લા બે દાયકામાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વર્સેટાઈલ એક્ટર તરીકે ઘણાં રોલ કર્યા છે.
૨૦૧૯માં નુશરત અને આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’ ખૂબ વખણાઈ હતી. ૨૦૨૩માં ‘ડ્રીમ ગર્લ ૨’ બની ત્યારે તેમાં નુશરતની જગ્યા અનન્યાએ લઈ લીધી હતી. પોતાનો રોલ અન્ય એક્ટ્રેસને મળી જતાં નુશરતનું દુઃખી થવાનું સ્વાભાવિક હતું. બે વર્ષ બાદ આ અંગે પોતાની લાગણી વ્યક્ત કરતાં નુશરતે કહ્યું હતું કે, તેને અતિશય દુઃખ થયુ હતું, પરંતુ ચૂપ રહ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો.
નુશરતની યાદગાર ફિલ્મોમાં કાર્તિક સાથેની ‘પ્યાર કા પંચનામા’ (૨૦૧૫) અને ‘છોરી’ (૨૦૨૧)નો સમાવેશ થાય છે. તાજેતરમાં એક પોડકાસ્ટ દરમિયાન નુશરતે બે વર્ષ બાદ પોતાની વ્યથા અંગે દિલ ખોલીને વાત કરી હતી. બોલિવૂડમાં ન્યૂકમર તરીકેના પડકારો તથા આઉટસાઈડર હોવાના કારણે થયેલી અવગણનાને નુશરતે ભોગવેલી છે.
નુશરતે કહ્યું હતું કે, મારી પોતાની ફિલ્મની સીક્વલમાંથી બાદબાકી થઈ હતી. મારા સિવાયની તમામ કાસ્ટને યથાવત રખાઈ હતી. આ તો યોગ્ય ન હતું જ, પણ કશું થાય તેમ ન હતું. ‘ડ્રીમ ગર્લ ૨’માં પોતાના રોલ માટે લડત આપી હતી કે કેમ તે અંગે વાત કરતાં નુશરતે કહ્યું હતું કે, પરિસ્થિતિ બદલવાની કોઈ ક્ષમતા મારી પાસે ન હોય ત્યારે લડવાનો કોઈ મતલબ જ નથી.
કદાચ કોઈને પૂછું કે હું કેમ નથી? તો સીધો જવાબ હતો કે, તે લોકો મને ઈચ્છતા ન હતા. તેમની પસંદગી સામે સવાલ ન થઈ શકે. મુકાબલો કરવાની ક્ષમતાનો તે સમયે યોગ્ય રીતે ઉપયોગ કર્યાે અને જે લોકો મારી સાથે કામ કરવા માગતા હતા, તેમની સાથે કામ કર્યું.
દીવાલ પર માથું અથડાવાથી શું થાય? માથું જ ફૂટવાનું છે. કંઈ વાંધો નહીં, અન્ય જગ્યાએ પોતાનો દરવાજો બનાવો અને એક સ્ટેપ આગળ-પાછળ થઈને જગ્યા કરી લો. નુશરતે ‘ડ્રીમ ગર્લ’ની સીક્વલ ગુમાવી હતી, પરંતુ તાજેતરમાં ‘છોરી’ની સીક્વલમાં નુશરત યથાવત રહી હતી. આ ફિલ્મમાં નુશરતની સાથે સોહા અલી ખાન પણ મહત્ત્વના રોલમાં છે.SS1MS