રાજસ્થાનનું બાડમેર ગરમીનો પારો 45.4ને પારઃ 6 જિલ્લાઓમાં યલો એલર્ટ

(એજન્સી)નવી દિલ્હી, બે દિવસના વરસાદથી રાહત મળ્યા બાદ, રાજસ્થાનમાં ફરી ગરમી ફરી વળી છે. સોમવારે બાડમેર જિલ્લામાં દેશનું સૌથી વધુ તાપમાન ૪૫.૪ ડિગ્રી નોંધાયું હતું. આજે રાજ્યના ૬ જિલ્લાઓમાં હીટવેવ માટે યલો એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ૧૯ એપ્રિલ સુધી રાહતની કોઈ આશા નથી.
આ તરફ, બિહારમાં વીજળી પડવાથી ૪ લોકોના મોત થયા છે. સોમવારે સાંજે અરવલના શાદીપુર ગામમાં વીજળી પડવાથી પિતા અવધેશ યાદવ (૪૮), પત્ની રાધિકા દેવી (૪૫) અને પુત્રી રિંકુ કુમારી (૧૮)ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ, ગોપાલગંજના કોટવા ગામમાં પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
આજે મંગળવારે હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિત દેશના ૨૦ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળી પડી શકે છે અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે. બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા ઉપરાંત, આસામ, મણિપુર અને મેઘાલય સહિત તમામ પૂર્વોત્તર રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી સમાન હવામાન રહેવાની સંભાવના છે.
ગરમીથી થોડા સમય માટે રાહત મળ્યા બાદ, દિલ્હીમાં ગરમી ફરી વળશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ૧૬ થી ૧૮ એપ્રિલ દરમિયાન તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે. આ દરમિયાન તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહી શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન લુ ફુંકાવાની પણ શક્યતા છે.
ગઈકાલે શહેરનું તાપમાન ૩૭.૮ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૧.૭ ડિગ્રી વધારે હતું. હવે મંગળવારે મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી રહેવાની ધારણા છે. આ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે અને ૨૦-૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
રાજસ્થાનમાં વરસાદને કારણે ગરમીથી બે દિવસની રાહત બાદ, ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ગરમી ફરી વળી છે. સોમવારે બાડમેરમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો હતો. જેસલમેર અને ફલોદીમાં પણ મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સરહદી જિલ્લાઓ ગરમીની ઝપેટમાં રહ્યા. હવામાન નિષ્ણાતોના મતે, ૧૭-૧૮ એપ્રિલ સુધી રાજ્યમાં રાહતની કોઈ આશા નથી.
છત્તીસગઢના વિવિધ ભાગોમાં આગામી ત્રણ દિવસ માટે વાવાઝોડા અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આજે સુરગુજા, જશપુર, સૂરજપુર, બલરામપુર, ગૌરેલા-પેન્દ્ર-મારવાહી, બિલાસપુર, રાયગઢ, સારનગઢ-બિલાઈગઢ, મુંગેલી, રાયપુર, ગારિયાબંદ, ધમતરી, દુર્ગ, બાલોદ, બેમેતરા, કબીરદંઢ, બખરદંઢ-છબરદ, બલોદ, ધામતરી, કોંડાગાંવ, દંતેવાડા, સુકમા, કાંકેર, બીજાપુર, નારાયણપુર સહીત ૨૪ જિલ્લામાંવરસાદની સંભાવના છે.