મરજીથી લગ્ન કર્યા હોય એટલે પોલીસ સુરક્ષાનો અધિકાર મળતો નથીઃહાઈકોર્ટ

નવી દિલ્હી, પોતાની મરજીથી લગ્ન કર્યા પછી કોર્ટમાં જઈને સુરક્ષા માંગનાર યુગલો માટે અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે, ફક્ત પોતાની મરજીથી લગ્ન કરનાર યુગલોને સુરક્ષાની માંગ કરવાનો કોઈ કાયદાકિય અધિકાર મળતો નથી. હા, જો તેમની સાથે દુર્વ્યવહાર કે મારપીટ થાય છે કોર્ટ કે પોલીસ તેમના બચાવમાં આવશે.
આમ, અલ્હાબાદ હાઈકોર્ટની આ ટિપ્પણી આવા મામલાઓમાં ખૂબ મહત્વની બની જાય છે.અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સૌરભ શ્રીવાસ્તવે શ્રેયા કેસરવાની તથા અન્યની અરજીનો નિકાલ કરીને ચુકાદો આપતી વખતે કહ્યું કે, પોતાની મરજીથી લગ્ન કરનારા યુગલોએ એકબીજાની સાથે ઊભા રહીને સમાજનો સામનો કરવો જોઈએ.
આ સાથે હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના હવાલાથી કહ્યું કે, કોર્ટ આવા યુવાનોને સુરક્ષા આપવા માટે બની નથી, જેમણે પોતાની મરજીથી લગ્ન કર્યા હોય. સુરક્ષાની માંગ કરવા માટે હકીકતમાં ખતરો હોવો પણ જોઈએ.
હાઈકોર્ટે આ મામલામાં આગળ પોલીસને આદેશ આપીને કહ્યું કે અરજદારોએ એસપી ચિત્રકૂટને અરજી આપી છે, એટલે પોલીસ હકીકતમાં ખતરાની સ્થિતિનું મૂલ્યાંકન કરીને કાયદા પ્રમાણે જરુરી પગલાં ભરે.
જોકે, હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, અરજીમાં રજૂ કરેલાં તથ્યોમાં કોઈ ખતરા જણાતો નથી, જેના આધાર પર તેમને પોલીસ સંરક્ષણ આપવામાં આવે.વિરોધીઓ દ્વારા અરજદારો પર શારીરિક કે માનસિક હુમલા કરવાના કોઇ પુરાવા ઉપલબ્ધ નથી.
આ સાથે અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, વિરોધીઓના કોઈ ગેરકાયદે આચરણને લઈને એફઆઈઆર નોંધવાની પોલીસને કોઈ અરજી આપી નથી અને બીએનએસની કલમ ૧૭૩(૩) અંતર્ગત કેસ કરવાની કોઈ તથ્યાત્મક અરજી પણ આપી નથી.
એટલા માટે પોલીસ સુરક્ષા આપવાનો કોઈ કેસ બનતો નથી. અરજીમાં અરજદારના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં વિરોધીઓને હસ્તક્ષેપ કરવાથી રોકવાની માંગ કરાઈ હતી.SS1MS