Western Times News

Gujarati News

દેશમાં તા.૭મીએ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે-નાગરિકોને હુમલાથી બચવાની ટ્રેનિંગ અપાશે

પ્રતિકાત્મક

કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્ય સરકારોને આપેલો નિર્દેશ

નવી દિલ્હી, પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓની કરેલી હત્યાના વિરોધમાં દેશભરમાં ભારે રોષ જોવા મળ્યું છે. ૨૮ પ્રવાસીઓની હત્યાની ઘટનાની વિશ્વભરના દેશોએ પણ તેની નિંદા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આનો બદલો લેવામાં આવશે અને આતંકવાદીઓ તથા તેના આકાઓ સામે કલ્પના બહારની કડક કાર્યવાહી કરાશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સુરક્ષામંત્રી રાજનાથસિંહે પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને પાકિસ્તાન ઉપર ડિપ્લોમેટીક સ્ટ્રાઈક શરૂ કરી છે અને એક પછી એક પગલાં ભરી પાકિસ્તાનને ચારેબાજુથી ભીંસમાં લીધું છે.

પાકિસ્તાન સામે કાર્યવાહી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં સતત બેઠકો સંબંધિત વિભાગો સાથે કરી રહ્યાં છે. આજે પણ મહત્ત્વપૂર્ણ બેઠક બાદ દેશના મોટાભાગના રાજ્યોમાં તા.૭મીએ સિવિલ ડિફેન્સ મોકડ્ર્‌ીલ યોજવાનો આદેશ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને મોકડ્રીલ દરમિયાન કઈ કઈ કામગીરી કરવી તેની પણ સૂચના આપવામાં આવી છે.

મોકડ્રીલના આદેશ બાદ હવે ભારત ત્યારબાદ ટૂંક સમયમાં જ પાકિસ્તાન સાથે પ્રત્યક્ષ યુદ્ધ કરે તેવું મનાઈ રહ્યું છે. જોકે, યુદ્ધ ક્યાંથી શરૂ કરવું અને કેવી રીતે કરવું તેની સંપૂર્ણ સત્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાને આપી છે. જોકે છેલ્લાં ત્રણ દિવસથી સેનાની ત્રણેય પાંખોના વડા તથા સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ નરેન્દ્ર મોદી સાથે મીટીંગ કરી રહ્યાં છે.

પહેલગામ હુમલા પછી ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને ૭ મેના રોજ સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવાનો આદેશ આપ્યો છે. ભારત સરકાર સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ તમામ રાજ્યોને ૭ મેના રોજ નાગરિક સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરવા જણાવ્યું છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. કેન્દ્ર સરકારના સૂત્રોએ આ માહિતી આપી હતી.

રવિવારે, ફિરોઝપુર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ૩૦ મિનિટનો બ્લેકઆઉટ કવાયત હાથ ધરવામાં આવી હતી જેમાં રાત્રે ૯ વાગ્યાથી ૯ઃ૩૦ વાગ્યા સુધી બધી લાઇટો બંધ રાખવામાં આવી હતી. જો કોઈ વાહનની લાઈટો ચાલુ જોવા મળે, તો તે બંધ કરી દેવામાં આવતી. પોલીસ સંપૂર્ણપણે સતર્ક રહી અને દરેક ચોકડી પર તૈનાત કરવામાં આવી.

ગૃહ મંત્રાલયે આ સૂચનાઓ એવા સમયે આપી છે જ્યારે દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે અને ભારત પાકિસ્તાન સામે બદલો લેવાના વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. આ આતંકવાદી હુમલામાં ૨૬ લોકો નિર્દયતાથી માર્યા ગયા હતા. આમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થતો હતો.

આ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે ઘણા વ્યૂહાત્મક પગલાં લીધાં છે. આમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, પાકિસ્તાની હાઇ કમિશનમાં સ્ટાફની સંખ્યા ઘટાડવી, અટારી ચેક પોસ્ટ બંધ કરવી અને તમામ શ્રેણીઓમાં પોસ્ટલ સેવાઓ બંધ કરવાનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.