રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે શપથ લેવડાવ્યા

આપણે ભારતવાસીઓ અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ શપથ પણ લઈએ છીએ કે, આતંકવાદ અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
Ahmedabad, આતંકવાદ વિરોધી દિવસે આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ અને હિંસાનો મક્કમતાપૂર્વક વિરોધ કરવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આપણે ભારતવાસીઓ આપણા દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દ્રઢ વિશ્વાસ ધરાવીએ છીએ, સાથોસાથ નિષ્ઠાપૂર્વક શપથ પણ લઈએ છીએ કે, આપણે કોઈપણ પ્રકારના આતંકવાદનો અને હિંસાનો જોરદાર વિરોધ કરીશું.
આજે આતંકવાદ વિરોધી દિવસે રાજભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આતંકવાદ વિરોધી શપથ લેવડાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આપણે સમાજના વિવિધ વર્ગો વચ્ચે હંમેશા શાંતિ, સામાજિક સદભાવ અને સમજણ જળવાઈ રહે તે માટેના શપથ લઈએ છીએ, અને માનવજીવનમૂલ્યો સામે મુશ્કેલી ઉભી કરનારી વિઘટનકારી શક્તિઓ સામે લડવાના પણ શપથ લઈએ છીએ.
રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા, રાજ્યપાલશ્રીના પરિસહાય લેફ્ટનન્ટ શુભમ કુમાર, સી.જી.એચ. શ્રી અમિત જોશી સહિત રાજભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા.