શ્રમજીવી પરિવારની 5 વર્ષની બાળકી ઘરેથી ગુમ થઈ અને…

પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ હત્યા કરનારો ઝડપાયો
(એજન્સી)સુરત, ગુજરાતમાં મારામારી, હત્યા, દુષ્કર્મની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે સુરતના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામની શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરીને હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવી છે. મૂળ રાજસ્થાનના પાડોશી હેવાને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો,
પરંતુ બાળકી તાબે ન થતા તેને પથ્થર મારીને મોતને ઘાટ ઉતારી હતી. સમગ્ર મામલે પરિવારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને ગણપતલાલ ચંદ્રપ્રકાશ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વાંકાનેડા ગામે રાધા રાણી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્રમજીવી પરિવારની ૫ વર્ષની બાળકી ગત રવિવારે ઘરેથી ગુમ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં પાડોશી ગણપતલાલ ચંદ્રપ્રકાશ નામનો શખ્સ બાળકીને લઈને જતો સીસીટીવી ફૂટેજમાં નજરે પડે છે.
આ પછી પોલીસે શોધખોળ કરીને આરોપી ગણપતને ઝડપી પાડ્યો હતો. વધુ તપાસમાં બાળકીનો મૃતદેહ એક ખેતરમાંથી મળી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતા આરોપી ગણપતે મોઢા પર પથ્થરના ઘા મારીને બાળકીની કરપીણ હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કડોદરા પોલીસે મૃતક બાળકીનો મૃતદેહ પી.એમ. અર્થે મોકલી, આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.