Western Times News

Gujarati News

સુરતમાં આપઘાત અને અકસ્માતની ઘટનામાં ચાર વ્યક્તિના મોત

રાત્રે વરસાદ આવતા યુવક ઊંઘમાંથી ઉઠી ભાગવા જતા પગ લપસી જતા નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું.

સુરત,સુરતમાં આપઘાત અને અકસ્માત મોતની ઘટનામાં ચાર વ્યક્તિના મોત નીપજ્યા હતાં. સિંગણપોરમાં બેકાર યુવકે ફાંસો ખાધો હતો, જ્યારે ભેસ્તાનમાં વૃદ્ધે જીવ ટૂંકાવ્યો હતો. બીજીતરફ વરાછાના બરોડ પ્રિસ્ટેજ પાસે અને અમરોલીમાં ઊંચાઈ ઉપરથી પટકાતા બેના મોત નીપજ્યાં હતાં.શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલી ઓમકાર રેસીડેન્સી વિભાગ-૨માં ૩૫ વર્ષીય જયેશ ગોવિંદભાઈ સોસા પત્ની, બે પુત્રી તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતો હતો અને બેકાર હતો. જયેશની પત્ની ખાનગી હોસ્પિટલમાં સફાઈ કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતી હતી. જયેશ કામધંધો ન કરતો હતો.

ઉપરથી માતા, બહેન અને પત્ની પાસે નશો કરવાના પૈસા માંગતો હોવાથી ઘરમાં રોજ ઝઘડા થતા હતા. આ ઝઘડાથી કંટાળી ગઈકાલે જયેશએ ઘરમાં પંખા સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતની બીજી ઘટનામાં ભેસ્તાન બીઆરટીએસ બસ ડેપો નજીક સ્વપન સૃષ્ટીમાં રહેતા ૭૫ વર્ષીય સુરેશભાઈ સન્મુખલાલ દાનેમાની પત્નીનું પાંચ વર્ષ પહેલા અવસાન થયા પછી નાના પુત્ર સાથે રહેતા અને મોટા પુત્ર સાથે ઇલાસ્ટિકનો વ્યવસાય કરી રહ્યા હતા. મોટાપુત્ર પર લોન ચાલી રહી હતી. ઉપરાંત આર્થિક તંગી પણ અનુભવી રહ્યો હતો. તેની તાણ સુરેશભાઇને ઘણી હતી. પુત્રના ટેન્શનમાં સોમવારે સવારના સમયે અઠવાલાઈન્સ ચોપાટી પાસે તેમણે એસિડ ગટગટાવી લીધું હતું.

અકસ્માત મોતની પહેલી ઘટનામાં મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારૈયાના વતની ૨૯ વર્ષીય શૈલેષકુમાર ચીમનભાઈ કાયરા સેન્ટીંગ કામ કરતો હતો.ગરમીને કારણે તે એપાર્ટમેન્ટના ચોથા માળે પતરા પર સૂતો હતો. રાત્રે વરસાદ આવતા તે ઊંઘમાંથી ઉઠી ભાગવા જતા પગ લપસી જતા નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું.અમરોલી વિસ્તારમાં શ્રીરામ ચોકડી પાસે રિલાયન્સ નગરમાં રહેતો ૨૧ વર્ષીય બાબુ સોનાભાઈ શેખ પ્લમ્બરનું કામ કરતો હતો. તે મોટાવરાછામાં પ્લાસ્ટિકની પાઇપ પાંચમા માળે મૂકીને પાલખથી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે તેનું બેલેન્સ ખોરવાતા નીચે પટકાતા તેનું મોત નીજપ્યું હતું.શહેરમાં અકસ્માતના બનાવોમાં વધારો નોંધાયો.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.