કોલેજિયમ સિસ્ટમમાં ખામી છેઃ સુપ્રીમ કોર્ટના જજે સ્વીકાર્યુ

(એજન્સી) નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને કોલેજિયમ સિસ્ટમનો જોરદાર બચાવ કરતા કહ્યું કે, તેમાં ખામીઓ હોવા છતાં, આ સિસ્ટમ ન્યાયતંત્રની સ્વાયત્તતા જાળવવા માટે એક મહત્વપૂર્ણ સંસ્થાકીય સુરક્ષા તંત્ર છે.
અમેરિકાના સિએટલ યુનિવર્સિટીમાં ૪ જૂનના રોજ ધ ક્વાયટ સેન્ટીનેલઃ કોર્ટ્સ, ડેમોક્રેસી એન્ડ ધ ડાયલોગ એક્રોસ બોર્ડર્સ વિષય પર વ્યાખ્યાન આપતા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, કોલેજિયમ સિસ્ટમ કાર્યપાલિકા અને વિધાનસભાના હસ્તક્ષેપને મર્યાદિત કરે છે, જેનાથી ન્યાયિક નિષ્પક્ષતા સુરક્ષિત રહે છે.
જોકે, તેમણે એ સ્વીકાર્યું કે, કોલેજિયમ સિસ્ટમને પારદર્શિતાના અભાવ અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્પષ્ટ માપદંડોના અભાવ માટે ટીકાનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તાજેતરના વર્ષોમાં સુપ્રીમ કોર્ટ તરફથી પારદર્શિતા અને જાહેર વિશ્વાસ વધારવાની દિશામાં ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા છે.
જસ્ટિસ સૂર્યકાંતે ન્યાયપાલિકાની નીતિ નિર્માણમાંવધતી ભૂમિકા પર પોતાના વિચારો વ્યક્ત કરતા પૂછ્યું કે, નીતિ નિર્માણમાં અદાલતો ક્્યાં સુધી જઈ શકે છે? ન્યાયિક રચનાત્મકતા ગુણ છે કે એક દોષ છે? તેમણે પોતે આ સવાલોનો જવાબ આપતા કહ્યું કે, જ્યારે અદાલતો બંધારણ અને નૈતિક સ્પષ્ટતાના આધારે નબળા વર્ગોને સશક્ત બનાવવા માટે પગલાં ભરે છે, ત્યારે તેઓ લોકતંત્રને નબળુ નથી પાડતા પરંતુ તેને મજબૂત બનાવે છે.