કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં SP અને PSIના નામ લખી ફાંસો ખાધો

(એજન્સી)પાલનપુર, પાલનપુર તાલુકાના જગાણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે પોતાના ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ પગલું ભરતા પહેલા કોન્સ્ટેબલ ચૌહાણે એક સુસાઇડ નોટ લખી હતી અને પોલીસ પર ગંભીર આરોપો મૂક્્યા હતા. જેથી પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. અને હાલની માહિતી મુજબ આ અંગે પોલીસ પણ ફરિયાદ નોંધી રહી નથી.
આપઘાત કરનાર કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણ ભુજ જિલ્લામાં ફરજ દરમિયાન સસ્પેન્ડ થયા બાદ સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા. તેમણે આપઘાત પહેલાં લખેલી સુસાઇડ નોટમાં અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. નોટમાં પશ્ચિમ કચ્છના SP વિકાસ મુંડા, PI બી. પી. ખરાડી તેમજ નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે.
સુસાઇડ નોટમાં કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણે ઉલ્લેખ કર્યો છે કે, ભુજના જખૌ ખાતે ઓધવરાસ બંદોબસ્ત દરમિયાન તેઓ પીધેલી હાલતમાં પકડાયા હતા, જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
તેમણે દાવો કર્યો છે કે, આ ઘટના બાદ અધિકારીઓ દ્વારા સતત તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેમણે આત્મહત્યા જેવું આકરું પગલું ભર્યું છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
પરિવારે આરોપ લગાવ્યો છે કે, પોલીસ અધિકારીઓ સામે આક્ષેપો હોવાના કારણે પોલીસ ફરિયાદ નોંધવામાં ટાળાટૂળ કરી રહી છે. પરિવારે સ્પષ્ટ જણાવ્યું છે કે, જ્યાં સુધી ફરિયાદ નોંધાય નહીં, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં.
પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારની મહિલાઓએ વિકાસ મુંડા અને બી. પી. ખરાડી સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા.