નોકરી છૂટી જતાં યુવક-યુવતીએ વૃદ્ધની હત્યા કરી લૂંટ ચલાવી- વૃધ્ધનું મર્ડર કર્યુ

AI Image
રાજકોટ, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાલ્કેશ્વર સોસાયટી મેન રોડ પર શ્રીનગર શેરી નંબર ૩માં ૭૦ વર્ષીય બરકત લાખાણી નામના વ્યક્તિની હત્યા ૬ જૂન ૨૦૨૫ના રોજ થઈ હોવાની ઘટના સામે આવી હતી.
ત્યારે સમગ્ર મામલે ૬૭ વર્ષીય રમજાન લાખાણી દ્વારા પોતાના મોટાભાઈની હત્યા મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની કલમ ૧૦૩ (૧) સહિતની કલમ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ પોલીસને બનાવ લૂંટ વિથ મર્ડરનો જણાઈ આવ્યો હતો. જેથી તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જુદી જુદી ટીમો આરોપીઓની શોધખોળ બાબતે કામે લાગી ગઈ હતી.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામના વતની ૨૨ વર્ષીય કિશન વાઢેર તેમજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના છાત્રા ગામની વતની ૨૨ વર્ષીય સ્નેહલબા ગોહિલની ધરપકડ
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંટી બબલીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સતાપર ગામના વતની ૨૨ વર્ષીય કિશન વાઢેર તેમજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના છાત્રા ગામની વતની ૨૨ વર્ષીય સ્નેહલબા ગોહિલની ધરપકડ રાજકોટના કણકોટ ખાતેથી કરી હોવાનું સામે આવ્યું છે.
ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં વૃદ્ધની હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું.
જેથી તેમના ઘરમાં તપાસ કરતા સોનાના દાગીના મિસિંગ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસ દ્વારા ઘટના સ્થળ તેમજ તેની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી એનાલિસિસ કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત બરકત લાખાણીના ઘર આસપાસ બે જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ એક્ટિવા મારફતે અવરજવર કરી રહ્યા છે. તેમજ પોતાના કપડાં પણ બદલી રહ્યા છે. તેમજ પોતાનો ચહેરો પણ ઢાંકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે હકીકતના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડી તેમની પૂછપરછ હાથ ધરતા તેમણે કબૂલાત આપી હતી કે, લૂંટના ઇરાદે જ તેમના દ્વારા હત્યા કરવામાં આવી છે.
બંનેની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે Flipkart કંપનીમાં ડિલિવરી બોય તેમજ ડિલિવરી ગર્લ તરીકે કામકાજ કરતા હતા. પરંતુ બંને દ્વારા છેલ્લા બે મહિનાથી નોકરી છોડી દેવામાં આવી હતી.
ત્યારબાદ આર્થિક સંકળામણ જણાતા બંને દ્વારા રેકી કરીને લૂંટ વિથ મર્ડરની ઘટનાને અંજામ આપ્યો હતો. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલ એક્ટિવા સહિત કુલ ૭,૫૫,૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. બરકત લાખાણી તેમજ સ્નેહલબા ગોહિલ વચ્ચે એક વર્ષ પૂર્વે ગોલ્ડ લોન બાબતે બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.
હત્યાના બનાવની જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમ સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરતી હતી. જે દરમિયાન બરકત લાખાણીના ઘરે બપોરના ૩ઃ૩૦ વાગ્યા આસપાસ એક્ટિવામાં આવેલા એક છોકરો અને છોકરી પ્રવેશતા હોવાનું જણાઈ આવ્યું હતું. તેમજ બંને એકાદ કલાક ઘરમાં પણ રહ્યા હોવાનું જણાઈ આવ્યું હતું.