ધ્રાંગધ્રા નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા ત્રણ યુવકોના મોત

AI Image
સુરેન્દ્રનગર, ગુજરાતમાં માર્ગ અકસ્માત અને તેના લીધે થતાં મૃત્યુના પ્રમાણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે પર બાઈક અને ટ્રક વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા તરફ મોડી રાત્રીના સમયે બાઇક લઇને જઈ રહેલા યુવકોનું બાઈક દુધરેજ ફાટક નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક પોલીસ તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. આ અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી
અને પોલીસ દ્વારા ટ્રકચાલકને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ તો પોલીસ દ્વારા ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતમાં ઇમરાન રમઝાનભાઇ મોવર, અફજલ યુનીસભાઇ સિપાઇ અને દિવ્યાંશ અશોકભાઇ પનારા નામના યુવાનના મોત થતાનું જાણવા મળે છે.