Western Times News

Gujarati News

હુડકોના ડાયરેક્ટર અને પૂર્વ પ્રદેશ મંત્રી કે.સી.પટેલનો બળાપો

પોલીસ ખાતું રૂ.૫૦૦/- થી રૂ.૧૦૦૦/- પડાવી લે છે. આના કારણે પાટણમાં ધંધા-રોજગારનો વિકાસ નથી થયો.

ગાંધીનગર, ગુજરાત ભા.જ.પ.ના પૂર્વ પ્રદેશ મંત્રી અને હાલમાં જ હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન(હુડકો)ના ડાયરેક્ટર તરીકે નિમાયેલા કે.સી.પટેલનો પાટણમાં એક અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો.તે પ્રસંગે કે.સી.પટેલે જાહેરમાં વેદના ઠાલવતા જણાવ્યું હતું કે ‘પાટણ શહેર અને જિલ્લાનો ધાર્યો વિકાસ નથી થયો!

તેઓએ કેમેરા સામે ખુલ્લેઆમ જણાવ્યું કે ધંધાર્થી વાહન ચાલકો પાટણ આવવાનું પસંદ નથી કરતા. કારણ કે તેઓ જણાવે છે કે અમે પાટણ આવીએ છીએ તો પોલીસ ખાતું અમારી પાસેથી રૂ.૫૦૦/- થી રૂ.૧૦૦૦/- પડાવી લે છે.આના કારણે પાટણમાં ધંધા-રોજગારનો વિકાસ નથી થયો.

વિસાવદરમાં ભા.જ.પ.ના કિરીટ પટેલ જીતે તો રાદડિયા મંત્રી બનશે?

વિસાવદરની વિધાનસભાની પેટાચૂંટણી માટે ભા.જ.પ.એ ચૂંટણી ઈનચાર્જ તરીકે સૌરાષ્ટ્રના કદાવર નેતા તથા માજી મંત્રી અને હાલના ધારાસભ્ય જયેશ રાદડીયાને મુક્યા છે.એની છૂપી શરત એવી હોવાનું કહેવાય છે કે રાદડીયાને એવું કહેવાયું છે કે આ સીટ જીતાડી દો એટલે તમને મંત્રી બનાવશું? આવું અનુમાન એ માટે થઈ રહ્યું છે કે ભા.જ.પ.ના વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલે જાહેર સભામાં જણાવ્યું છે કે

‘હું તો ૮૦૦ દિવસ માટે ધારાસભ્ય થવાનો છું અને મારે મારા ભાઈને (એટલે કે જયેશ રાદડીયાને) મંત્રી બનત જોવા છે.આ જાહેર વાત ઉપરથી સૌ એવું અનુમાન કરવા લાગ્યા છે કે વિસાવદરની બેઠક ભા.જ.પ. જીતે તો જયેશ રાદડીયાનો રાજ્ય મંત્રીમંડળમાં સમાવેશ નિશ્ર્‌ચિત છે! જોઈએ હવે પરીણામ કેવું અને શું આવે છે તે?

વડોદરાના ભા.જ.પ.ના સાંસદ હેમાંગ જોષીની કર્નલ સોફિયા જોડે સરખામણી!
વડોદરાના સંસદ સભ્ય હેમાંગ જોષીની પસંદગી પાકિસ્તાનની નાપાક હરકતોની વાત પરદેશની સરકારોને સમજાવવા ગયેલા પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે થઈ હતી.

એ ફરજ પૂર્ણ કરીને તેઓ વડોદરા પરત આવ્યા ત્યારે તેઓ જાણે યુદ્ધ લડીને પરત આવ્યા હોય એવું ભવ્ય સ્વાગત થયું અને એ વખતે લાગેલા સ્વાગત બેનરમા લખાયું કે ‘ઈતિહાસ કર્નલ સોફિયા સાથે સાંસદ હેમાંગ જોષીને પણ યાદ કરશે.’

આ સરખામણી વડોદરા ભા.જ.પ.ના નેતા અને કાર્યકરોએ કરી છે.જે સૂચવે છે કે હેમાંગ જોષી કેટલાં લોકપ્રિય છે.

ફિલ્મી કલાકાર મનોજ જોષી સચિવાલયની મુલાકાતે
હિન્દી ફિલ્મ જગતના ખ્યાતનામ કલાકાર અને ‘ચાણક્ય’ નાટકમા ‘કૌટિલ્ય’ની ભૂમિકા કરી છવાઈ ગયેલા ગુજરાતના તેજસ્વી કલાકાર મનોજ જોષી ગત તા.૨ જુનને સોમવારે સ્વર્ણિમ સંકુલ-૧માં દેખાયા હતા.

મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ ઔલખની ચેમ્બર પાસે એક સામાન્ય નાગરિકને શોભે તેવી નમ્રતા સાથે તેઓ લાઈનમાં ઉભા હતા.

એક પરિપક્વ કલાકાર કેવો નમ્ર અને વિવેકી હોય તે મનોજ જોષીના વાણી અને વર્તનથી પ્રતિબિંબિત થતું હતુ.મનોજ જોષી પોતાના નાટક ચાણક્યના પ્રમોશન માટે સચિવાલયમાં આવ્યાં હોવાનું કહેવાય છે.

સ્વર્ણિમ સંકુલ-૧ રૂડું રૂપાળું બની રહ્યું છે!
સરદાર ભવન સચિવાલયમાં આવેલા સ્વર્ણિમ સંકુલ આજકાલ નવાં વાઘા ધારણ કરીને સજીધજીને રૂડું રૂપાળું રહ્યું છે.આ સંકુલના ત્રીજા માળે મુખ્યમંત્રી બેસે છે અને તે માળે મુલાકાતી માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત બીજા માળે વી.આઈ.પી. મુલાકાતીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા થઈ રહી છે.

આ ઉપરાંત આ સંકુલને નવેસરથી સુશોભિત કરાઈ રહ્યું છે.ભોંય તળિયે એક રંગબેરંગી ઝુમ્મર ટીંગાડાયુ છે.સ્વર્ણિ સંકુલ-૧ એ સરકારનું મુખ્ય મથક છે અને તેને એ રીતે સજાવાઈ રહ્યું છે.એક વાત કોઈને નથી સમજાતી કે આવું બધું ક્યા કારણોસર કરવામાં આવી રહ્યું છે?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.