પ્રોપર્ટી કાર્ડનું અમલીકરણ તો કરી દેવાયું પરંતુ તેમાં રહેલી ખામીઓ અંગે સરકાર બેધ્યાન

પ્રોપર્ટી કાર્ડની અરજી માટે જરૂરી ૩ રૂપિયાની ટિકિટ ન મળતાં મુશ્કેલી -સેટેલમેન્ટ કમિશનર નિર્ણય લે તો સુધારો થાય: કલેકટર કચેરી
(એજન્સી)અમદાવાદ, પ્રોપર્ટી કાર્ડ લેવા માટે અરજી કરનારા લોકોએ ફોર્મ ભર્યા બાદ તેના પર ૩ રૂપિયાની ટિકિટ લગાવવી પડે છે. ત્યારબાદ ર૦ રૂપિયા બારી ઉપર ભરવા પડે છે. જો કે, ૭/૧ર નીકળે છે તેમાં બારી પરથી જ સીધું તેઓને ૭/૧રની નકલ મળી જતી હોય છે.
આ રીતે જ પ્રોપર્ટી કાર્ડમાં પણ અરજીની પ્રક્રિયાને રદ કરી સીધા બારી ઉપરથી પ્રોપર્ટી કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને લોકોને ૩ રૂપિયાની ટિકિટ પણ અમુક વાર મળતી નથી જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો કે, આ અંગ ધારાસભ્યે કલેકટર કચેરીને પત્ર પણ લખ્યો હતો.
ઉપરાંત પ્રોપર્ટી કાર્ડમાં બે વર્ષ પછી જો કોઈ વ્યક્તિ સુધારો કરાવવા માંગે ત્યારે તેઓને સિટી ડેપ્યુટી કલેકટરની કચેરીમાં કેસ ચાલ્યા બાદ આ નિર્ણય લેવામાં આવતો હોય છે. જેના કારણે પ્રોપર્ટીકાર્ડમાં ઘણી વખત મુશ્કેલી સર્જાતી હોય છે.
જેથી પ્રોપર્ટી કાર્ડનું અમલીકરણ તો કરી દેવાયું પરંતુ તેમાં રહેલી ખામીઓ કે મુશ્કેલીઓ અંગે સરકાર દ્વારા ખાસ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી રોજના ૧૦૦થી વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવવા અરજી આવતી હોય છે.
નાયબ નિયામક જમીન દફતર દ્વારા જવાબ અપાયો છે કે સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી ખાતેથી ર૦૦૩માં થયેલ પરિપત્ર મુજબ ૩ રૂપિયાની ટિકિટ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પ્રોપર્ટી કાર્ડની ફી તથા અરજી રદ કરી સીધા બારી પરથી પ્રોપર્ટી કાર્ડ મળી જાય તે બાબતે સેટલમેન્ટ કમિશનર ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવી છે.
સેટલમેન્ટ કમિશનર દ્વારા આ મુદ્દે જે પ્રકારની સૂચનાઓ અપાશે તે રીતે આગળની કાર્યવાહી કરાશે. વધુમાં અધિકારીએ જણાવ્યું કે વહીવટી વિષયમાં ફેરફાર કરવાની તમામ સત્તા સેટલમેન્ટ કમિશનરના તાબા હેઠળ આવતી હોવાથી આ મુદ્દે જિલ્લા સ્તરથી કોઈપણ પ્રકારની કામગીરી થઈ શકશે નહીં. જો કે, આ મુદ્દે જલ્દીથી કોઈ ઉકેલ આવે અને લોકોની સમસ્યામાં ઘટાડો થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.