આણંદમાં વિદ્યાનગર રોડ પરના બંધ મકાનમાં રૂપિયા ૮.૨૫ લાખની ચોરી

મકાન માલિક સંબંધીઓ સાથે પ્રવાસ ગયા હતા
વહેલી સવારે પડોશીએ ચોરી કરીને ભાગતા ત્રણ શખ્સોને જોતા જ મકાન માલિકને જાણ કરી હતી
આણંદ, આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ ઉપર આવેલી સોસાયટીમાં એક બંધ મકાનમાં ગત સોમવારે રાત્રિના અરસામાં કોઈ ચોર શખ્સોએ એક બંધ મકાનને નિશાન બનાવીને મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી મકાન માલિક તેમજ તેમના સંબંધીઓના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ મળી રૂ ૮.૨૫ લાખની મત્તા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકમાં નોંધાઈ છે.આણંદ શહેરમાં વિદ્યાનગર રોડ ઉપર એપીસી સર્કલ પાછળ આવેલી ચંદ્રમૌલી સોસાયટીમાં ૪૯ વર્ષીય શીતલભાઈ વિષ્ણુભાઈ છોટાભાઈ પોતાના પત્ની જાગૃતિબેન, પુત્ર સહિતના પરિવાર સાથે રહે છે.
અને ઉમરેઠ ખાતે આવેલી પોતાની ખેતીવાડીમાં ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. શીતલભાઈએ પરિવાર સાથે પ્રવાસ જવાનું નક્કી કર્યું હતું. જેથી નડિયાદ ખાતે રહેતા તેઓના બહેન હેતલબેન પટેલ અને દમણ ખાતે રહેતા સાળા વિશાલભાઈ દિનેશભાઈ પટેલ ઉપરાંત ભરૂચ ખાતે રહેતા સાળી અર્ચનાબેન પટેલ પોતાના પરિવાર સાથે ગત રવિવારે સાંજના અરસામાં શીતલભાઈ પટેલના ઘરે આવ્યા હતા. બધાને પ્રવાસમાં જવાનું હોવાથી પોતાની સાથે કીંમતી સામાન તેમજ રોકડ રકમ લાવ્યા હતા. પરંતુ પ્રવાસમાં બધી વસ્તુ સાથે લઈ જવાનુ શક્ય ન હોવાથી શીતલભાઇ, પરિવારજનો, સગા સબંધીઓ દ્વારા રોકડ રકમ તેમજ કીંમતી સામાન ઘરની ઉપરના માળે આવેલા બેડરૂમની તિજોરીમાં મૂકી દીધો હતો.
બીજા દિવસે સોમવારે સવારના સાડા આઠ વાગ્યાના અરસામાં શીતલભાઈ પરિવારજનો તેમજ સગા સબંધી સાથે પ્રવાસ જવા માટે નીકળ્યા હતા.આ દરમ્યાન કોઈ ચોર શખ્સોએ શીતલભાઇના બંધ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાની ગ્રીલનો લોખંડનો નકુચો તોડી નાંખી અંદર પ્રવેશ કર્યાે હતો અને ઉપરના માળે બેડરૂમમાં મૂકેલી તિજોરીના દરવાજા તોડી નાંખી તિજોરીમાંથી સોનાની એક જોડી બંગડી કિંમત રૂ ૨.૨૫ લાખ, રોકડ રકમ રૂ ૬ લાખ તેમજ સાળી અર્ચનાબેન, સાળા વિશાલભાઈની રોકડ રકમ, સોનાના સિક્કા, દાગીના મળી રૂ ૮.૨૫ લાખની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા.
વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં પડોશમાં રહેતા નરેશભાઈ ઠાકરે બુકાનીધારી ત્રણ શખ્સોને ભાગતા જોયા હોવાથી શીતલભાઈને ફોન કરીને તેઓના ઘરમાં ચોરી થયાની જાણ તેમજ ત્રણ બુકાનીધારી શખ્સોને ઘરમાંથી બહાર નીકળતા જોયા હોવાનું જણાવતા શીતલભાઈ પરિવાર તેમજ સગા, સંબંધીઓ સાથે પોતાના ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરતાં ચોરી થઈ હોવાનુ જણાઈ આવતા જ આણંદ શહેર પોલીસને જાણ કરતા પોલીસના માણસો સ્થળ પર પહોંચી ગયા હતા અને શીતલભાઇ વિષ્ણુભાઈ પટેલની ફરિયાદ લઈ ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. SS1