ભાલ પ્રદેશમાં પૂરમાં તણાયેલાં ૭ કાળિયારનાં મોત, ૩ને બચાવાયાં

એક કાળિયાર ઈજાગ્રસ્ત થતા શિકારી કૂતરાઓનો ભોગ બન્યો
ભાવનગર શહેર-જિલ્લામાં પડી ગયેલા ભારે વરસાદમાં માણસો સાથે પશુ, પક્ષીઓના જીવ સામે જોખમ સર્જાયું હતું
ભાવનગર, ભાવનગર શહેર-જિલ્લામાં પડી ગયેલા ભારે વરસાદમાં માણસો સાથે પશુ, પક્ષીઓના જીવ સામે જોખમ સર્જાયું હતું. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથકમાં વસતા કાળિયાર હરણો ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાં સાત જેટલા કાળિયારના મોત થયાનું સામે આવ્યું છે. ભાલ પ્રદેશમાં આવેલા કાળિયાર અભ્યારણ્ય અને તેના આસપાસના રેવન્યુ વિસ્તારોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે કાળિયારના મોતનો સિલસિલો યથાવત છે.
છેલ્લા બે દિવસમાં કુલ ૭ કાળિયારના મોત થયા હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે, જ્યારે ૩ કાળિયારને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ગણેશગઢ, સવાઈપથ, સવાઈનગર, દેવળિયા, માઢિયા, સનેસ, કાનાતળાવ, ખેતાખાટલી સહિતના રેવન્યુ વિસ્તારોમાં તપાસ દરમિયાન ગઈકાલે ૪ કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા. આજે વધુ ૨ કાળિયારના શબ મળ્યા છે, જેમના મોત પાણીમાં ડૂબી જવાથી થયા હોવાનું સામે આવ્યું છે.
એક કાળિયાર પાણીમાં ઈજાગ્રસ્ત થયા બાદ શિકારી કૂતરાઓનો ભોગ બન્યો હતો.વન વિભાગ દ્વારા હજુ પણ આ વિસ્તારોમાં તપાસ અને સ્કેનિંગ કામગીરી ચાલુ છે, કારણ કે વધુ કાળિયારના મૃતદેહ મળી આવવાની શક્યતા છે. મોટાભાગના કાળિયાર ઊંચાઈવાળી જગ્યાઓ પર સલામત સ્થળોએ ખસી ગયા છે, પરંતુ રેવન્યુ વિસ્તારોમાં ફસાયેલા કાળિયાર પર પાણી ભરાવાને કારણે જોખમ ઊભું થયું છે.ss1